ગીરસોમનાથ જિલ્લામાં ઉના-અંજાર રોડ પર આધેડની હત્યા કરવામાં આવી છે. ઉના-અંજાર રોડ પર ગત સાંજે આધેડની હત્યા કરવામાં આવી છે. આધેડનો મૃતદેહ મછુન્દ્રી નદીના ચેકડેમ પાસેથી મળ્યો છે. જીતુ કાનજી સોલંકી નામના આધેડની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.
જીતુ કાનજી સોલંકી નામનો આધેડ ચાની લારી ચલાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આધેડના મૃતદેહ પાસેથી એક સ્પરે મળી આવ્યું હતું. આધેડ અંજાર ગામે પરત ફરતા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી છે. પોલીસે આને લઈને અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ માટે હવે અહીં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ચાની લારી ચલાવતા આધેડની વળી કોણ હત્યા કરે. આ માટે પોલીસ જૂની અદાવત, કૌટુંબિક અદાવત, લૂંટ, કોઈની સાથે થયેલી માથાકૂટ સહિતના વિવિધ એન્ગલથી તપાસ કરી રહી છે. આ ઉપરાંત તેના મોબાઇલ ફોનના કોન્ટેક્ટના આધારે પણ પોલીસે તપાસ આદરી છે.
પોલીસે આ ઉપરાંત આ કિસ્સામાં વ્યાજખોરના એન્ગલને ધ્યાનમાં રાખીને ધંધાકીય બાબતને લઈને પણ પૂછપરછ કરવાનું શરૂ કર્યુ છે. કોઈ વ્યાજખોરે પણ જીવ લીધો હોય તેવી સંભાવના પણ પોલીસ ચકાસી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સઘન ચકાસણી શરૂ કરી છે.