દામનગર-ગારીયાધાર ડેપોના અંધાધૂંધ વહીવટને કારણે વર્ષો જૂની ગારીયાધાર-રાજકોટ વહેલી સવારની બસ સેવા બંધ કરી દેવામાં આવતા પંથકના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સવારે ૫ વાગ્યે ઉપડતી આ બસ નાની વાવડી, શાખપુર, પાંચ તલાવડા, કણકોટ, પાડરશીંગા અને નાના રાજકોટ સહિતના ગામડાંના મુસાફરો માટે આશીર્વાદરૂપ હતી. ડેપોના અણઘડ વહીવટને કારણે મુસાફરોની વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ડ્રાઈવર કે કંડક્ટરની ઘટના બહાના હેઠળ આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. આ મુદ્દે શાખપુરના સરપંચ જશુભાઈ ખુમાણે ભાવનગર એસ.ટી. ડિવિઝન અને વાહનવ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત કરી છે. તેમણે વહેલી તકે આ બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરી છે, જેથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને રાહત મળી શકે.