ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે જણાવ્યું કે ૦૨ સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ ૦૯.૦૦ કલાકે, લોકોપાયલટ પુષ્પેન્દ્ર કુમાર સેન (મુખ્ય મથક – જેતલસર) અને સહાયક લોકોપાયલટ ઉમેશ બાબુ (મુખ્ય મથક – જેતલસર) દ્વારા ગાધકડા-સાવરકુંડલા સેક્શન વચ્ચે જ્યારે ૩ સિંહો રેલવે-ટ્રેક ક્રોસ કરતા જોવા મળ્યા, ત્યારે ગુડ્સ ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવીને લગભગ ૧૦૦ મીટરના અંતરે રોકવામાં આવી હતી. લોકોપાયલોટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) અને સાવરકુંડલાના સ્ટેશન માસ્તરને વોકી-ટોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી આવ્યા અને ટ્રેક ક્લીયર થવાનો સિગ્નલ મેળવ્યો ત્યારે લોકોપાયલટ દ્વારા માલગાડીને નિયત સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા દ્વારા લોકોપાઇલોટ્સના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.