ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર બાદ, બંને દેશોએ તેનો અમલ શરૂ કરી દીધો છે. ઇઝરાયલના ન્યાય મંત્રાલયે ગાઝામાં હમાસ સાથેના સંઘર્ષને રોકવા માટેના કરાર હેઠળ મુક્ત થનારા ૭૦૦ થી વધુ પેલેસ્ટીનિયન કેદીઓની યાદી પ્રકાશિત કરી છે. ઇઝરાયલના સંપૂર્ણ મંત્રીમંડળે યુદ્ધવિરામ કરારને મંજૂરી આપ્યાના કલાકો પછી આ યાદી જાહેર કરવામાં આવી હતી.
મંત્રાલયે જણાવ્યું હતું કે પેલેસ્ટીનિયન કેદીઓને રવિવારે સ્થાનિક સમય મુજબ સાંજે ૪ વાગ્યા પહેલા મુક્ત કરવામાં આવશે નહીં, જે દિવસે વિનિમય શરૂ થવાનું છે. આ યાદીમાં હમાસ અને ઇસ્લામિક આતંકવાદી જૂથોના સભ્યોનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલાક આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ઇઝરાયલ દ્વારા મુક્ત કરાયેલા ૭૦૦ પેલેસ્ટીનિયન બંધકોની યાદીમાં મારવાન બરઘૌતી (૬૪)નું નામ નથી. તે ઇઝરાયલ દ્વારા રાખવામાં આવેલ સૌથી પ્રખ્યાત પેલેસ્ટીનિયન કેદી છે. આવનારા વર્ષોમાં રાષ્ટ્રપતિ પદ માટે ઘણા પેલેસ્ટીનિયનો બરઘૌતીને અગ્રણી ઉમેદવાર તરીકે જુએ છે. ૨૦૦૦ ના દાયકાની શરૂઆતમાં બીજા પેલેસ્ટીનિયન બળવા દરમિયાન બરઘૌતી પશ્ચિમ કાંઠામાં એક નેતા હતા. હમાસે માંગ કરી છે કે ઇઝરાયલ કોઈપણ યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે તેને મુક્ત કરે, જાકે ઇઝરાયલી અધિકારીઓએ તે શક્યતાને નકારી કાઢી છે. પરંતુ હમાસ ઇચ્છે છે કે બરઘૌતીને કોઈપણ કિંમતે મુક્ત કરવામાં આવે.