નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગણપતિ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. કરજણ નદીના કિનારે ગણપતિ બાપાની પ્રતિમા વિસર્જન કરવા ગયેલો યુવાન અચાનક નદીના વ્હેણમાં તણાઈ જતાં મોતને ભેટ્યો હોવાની શક્યતા છે.
સૂત્રો અનુસાર, અર્જુન જવાનસીગ વસાવા નામનો યુવાન, જે રાજપીપળાના મોતીબાગ વિસ્તારમાં રહેતો હતો, ગઈકાલે રાત્રે લગભગ ૧૦ વાગ્યે અન્ય એક ફળીયાની ગણપતિ બાપાની પ્રતિમા વિસર્જન કરવા સરકારી ઘાટે પહોંચ્યો હતો. તે પ્રતિમાને નદીના મધ્ય ભાગ સુધી લઈ જઈ વિસર્જન કરતો હતો ત્યારે અચાનક પાણીનો જારદાર પ્રવાહ આવી ગયો. અર્જુનનું સંતુલન ખોરવાઇ જતાં નદીના વ્હેણમાં તણાઈ ગયો હતો.
આ ઘટના બાદ અર્જુન વસાવાના માતા-પિતા તથા સગાંઓ નદી કિનારે પહોંચી ગયા હતા. આખી રાતથી તેઓ ઘટના સ્થળે બેઠા છે અને ટીમ દ્વારા તેના પુત્રની શોધખોળ કરવામાં આવે તે માટે આતુરતાથી રાહ જાઈ રહ્યા હતા. પરિવાર તેમજ સ્થાનિકોમાં ભારે શોક અને વ્યથા છવાઈ છે.
આજે સવારે એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી. નદીના પ્રવાહને કારણે શોધખોળમાં મુશ્કેલીઓ આવી રહી છે, મૃતદેહ હજુ સુધી ગુમ છે. પોલીસ તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી કામગીરી હાથ ધરાઈ રહી છે.
રાજપીપળા ખાતે ગણપતિ વિસર્જનની ખુશીના માહોલ વચ્ચે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી દીધી છે. લોકો આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને પરિવારને સાંત્વના આપી રહ્યા છે. આ બનાવે ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે પાણીના પ્રવાહવાળા વિસ્તારોમાં વિસર્જન દરમિયાન વધારે સાવચેત રહેવાની જરૂર છે.









































