વડોદરામાં ગંભીરા બ્રિજ અકસ્માતમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની મિલકતની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગના ૪ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ અને ૧ નિવૃત્ત અધિકારીની મિલકતની પણ તપાસ કરવામાં આવશે. સરકારે એસીબીને તપાસ કરવાની મંજૂરી આપીને એક ખાસ તપાસ ટીમની રચના કરી છે.એસઆઇટી ટીમમાં મકરંદ ચૌહાણ સહિત ૬ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગંભીરા બ્રિજ અકસ્માતમાં ૨૧ લોકોના મોત બાદ અધિકારીઓની તપાસ શરૂ થઈ ગઈ છે.એસીબી સમક્ષ અધિકારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. સહાયક ઇજનેર જે.વી. શાહ એસીબી સમક્ષ હાજર થયા હતા. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જીનિયર્સ યુ.સી. પટેલ અને આર.ટી. પટેલના નિવેદનો નોંધવામાં આવ્યા છે. અધિકારીઓની મિલકત અને આવક-ખર્ચની વિગતો મેળવવામાં આવશે. મિલકતની તપાસ અને નિવેદનો નોંધવાનું કામ શરૂ થઈ ગયું છે. એક્ઝિક્યુટિવ એન્જીનિયર એન.એમ. નાયકવાલાની પૂછપરછ માટે સરકારની મંજૂરીની રાહ જાવાઈ રહી છે.
ગંભીરા પુલ દુર્ઘટનામાં લટકેલા ટેન્કર અંગે માહિતી આપતાં આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ટેન્કરને નીચે ઉતારવાનું કામ કરશે. ટેન્કરને નીચે ઉતારવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવો ખતરનાક બની શકે છે. પોરબંદરની વિશ્વકર્મા કંપની ટેન્કરને નીચે ઉતારવામાં મદદ કરશે. ટેન્કરને નીચે ઉતારવાના મિશન માટે સિંગાપોરથી ૩ એન્જીનિયરોને બોલાવવામાં આવ્યા છે. ટેન્કરને નીચે ઉતારવાની પ્રક્રિયા રિગિંગ અને બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવશે. ટેન્કરને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં ૬ થી ૭ દિવસનો સમય લાગી શકે છે. સુરક્ષા કારણોસર મીડિયા સહિત અન્ય તમામ લોકોને પુલથી દૂર રહેવા કલેક્ટરે સૂચના આપી છે.