ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને પાક નુકસાનીમાં ૧૪૧૯.૬૨ કરોડની સહાયના રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. કેબિનેટ બેઠકમાં અતિવૃષ્ટિમાં પાક નુકસાની બાબતે ચર્ચા થઈ હતી. પાક નુકસાની અને રાસાયણિક ખાતરની અછત બાબતે કેબિનેટમાં ચર્ચા વિચારણા કરાઈ હતી. ઓગસ્ટ-ર૦ર૪માં થયેલ ભારે વરસાદના પરિણામે પાક નુકસાન થયેલ હતું. જે સંદર્ભે ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવેલ છે. આ પેકેજ દ્વારા સરકારે કુલ રૂ.૧૪૧૯.૬૨ કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. જેમાં એસડીઆરએફ ઉપરાંત રાજય સરકારે પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કરેલ છે. ઓગસ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટાઉદેપુર એમ ર૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના કુલ ૬૮૧૨ ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના ૭ લાખથી વધુ ખેડૂતોને આવરી લીધેલા છે. ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળેલ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ માસમાં પાક નુકસાનના પ્રાથમિક અહેવાલ મળેલ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી,
વલસાડ, સુરત, તાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય અસરગ્રસ્ત પાકો મગફળી, ડાંગર, કપાસ, સોયાબીન કઠોળ અને શાકભાજી છે. આ કિસ્સાઓમાં પણ સત્વરે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરાયેલ છે. તદ્દનુસાર ઓકટોબર માસ માટે સહાય પેકેજ માટે અમલવારી કરવામાં આવનાર છે.