નડિયાદમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગે જતાં તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરમાં લગ્ન પ્રસંગ નજીક હોવાથી ઘરમાં સોનું અને રોકડ રૂપિયા રાખવામાં આવ્યા હતા. આવામાં તસ્કરો સોના-ચાંદી, રોકડ સહિત સવા કરોડથી વધુની ચોરી કરી પલાયન થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે નડિયાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદ શહેરમાં તસ્કરો સવા કરોડથી વધુની ચોરી કરી પલાયન થયા છે. પરિવારજનો લગ્નમાં ગયા હતા ત્યારે રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરો ૬૦ તોલા સોનું, ૫૦૦ ગ્રામ ચાંદીના સિક્કા અને ૭૦ લાખથી વધુની રોકડ લઈ પલાયન થઈ ગયા છે.
કપડવંજ રોડ પર એસ.આર.પી કેમ્પ સામે આવેલ પ્રભુકૃપા સોસાયટીના મકાનને નિશાન બનાવ્યું હતું. લગ્ન પ્રસંગ હોવાથી સોનું તેમજ દીકરો વિદેશ જવાનો હોવાથી પરિવારે ઘરમાં લાખો રૂપિયાની રોકડ રાખી હતી.
મળતી માહિતી અનુસાર, રાત્રે ૧ વાગ્યાની આસપાસ ઘરના મુખ્ય દરવાજાનો તાળા સાથે નકૂચો તોડીને
તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં તિજારી, કબાટ ફેંદી કિંમતી ચીજ વસ્તુઓ લઈ ગયા હતા. ચહેરા પર નકાબ બાંધી ઘરમાં અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના અંગે નડિયાદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










































