(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૧૭
ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્ર કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને હવે ચેક રિપબ્લકમાંથી અમેરિકાને સોંપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. નિખિલ પર શીખ અલગતાવાદી અને ખાલિસ્તાની પન્નુ વિરુદ્ધ હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર આરોપી નિખિલ ગુપ્તાને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં યુએસ સરકારની વિનંતી પર ૫૨ વર્ષીય ગુપ્તાની ગયા વર્ષે ચેક રિપબ્લકમાં ધરપકડ કરવામાં આવી હતી.તેના ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં હાજર થવાની ધારણા છે. ગુપ્તાને હાલમાં બ્રુકલિનમાં ફેડરલ મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તે કેદી તરીકે સૂચિબદ્ધ છે.અમેરિકાની વિનંતી પર નિખિલ ગુપ્તાની ૩૦ જૂને ચેક રિપબ્લકમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડપર તત્કાલીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે એક ભારતીય નાગરિક હાલમાં ચેક રિપબ્લકની કસ્ટડીમાં છે. તેના પ્રત્યાર્પણ માટેની અરજી હાલમાં પેન્ડંગ છે.
પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું નામ સામે આવ્યું હતું. અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે નિખિલ ગુપ્તાએ એક અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીના નિર્દેશ પર અમેરિકામાં પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી અમેરિકાએ નિખિલ ગુપ્તા સામે કાર્યવાહી શરૂ કરી હતી. અમેરિકાની અપીલ પર ચેક રિપબ્લકે નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી અને પ્રત્યાર્પણની તૈયારીઓ શરૂ કરી હતી.