આણંદ  જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા સોખડા જીઆઇડીસીમાં એકતા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં શુક્રવારે સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી, જેમાં ઝેરી ગેસના ગૂંગળામણના કારણે બે શ્રમિકોના મોત નીપજ્યા, જ્યારે બે અન્ય શ્રમિકોની હાલત ગંભીર બની છે. આ ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષા અને કંપનીઓની બેદરકારીના મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

જાણકારી અનુસાર સોખડા જીઆઇડીસીમાં આવેલી એકતા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સવારે ચાર શ્રમિકો કેમિકલયુક્ત ટાંકો સાફ કરવાના કામે ગયા હતા. આ દરમિયાન, ટાંકીમાંથી નીકળેલા ઝેરી ગેસના ગૂંગળામણના કારણે ચારેય શ્રમિકોની તબિયત અચાનક લથડી હતી. આ ઘટનાની જાણ થતાં જ કંપનીના અન્ય કર્મચારીઓ અને સ્થાનિક લોકો દ્વારા શ્રમિકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ચાર શ્રમિકોમાંથી બે શ્રમિકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે બાકીના બે શ્રમિકોની હાલત ગંભીર હોવાથી તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝેરી ગેસના ગૂંગળામણને કારણે આ દુર્ઘટના બની હતી.

પ્રાથમિક તપાસ અનુસાર, ટાંકીમાં રહેલા કેમિકલના સંપર્કમાં આવવાથી અથવા ટાંકીમાં ઓÂક્સજનની ઉણપને કારણે ગૂંગળામણ થયું હોવાનું માનવામાં આવે છે. જાકે, આ ઘટના માટે કંપનીની બેદરકારી અને સુરક્ષા ધોરણોનું પાલન ન કરવું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. શ્રમિકોને ટાંકી સાફ કરવા મોકલતા પહેલાં યોગ્ય સુરક્ષા સાધનો, જેવા કે ઓકસીજન માસ્ક, રેસ્પિરેટર કે અન્ય રક્ષણાત્મક ઉપકરણો પૂરા પાડવામાં આવ્યા ન હતા, જેના કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે.

મૃતક શ્રમિકોના પરિવારજનોએ કંપની અને સ્થાનિક વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે કંપની દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા, અને આ બેદરકારીને કારણે નિર્દોષ શ્રમિકોનો જીવ ગયો છે. પરિવારે આ ઘટનાની તટસ્થ અને વિગતવાર તપાસની માગ કરી છે, જેથી જવાબદાર વ્યક્તિઓ અને કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.