કોડીનાર તાલુકાનાં નિવૃત આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ મુખ્યમંત્રીને સંબોધી કોડીનાર મામલતદારને આવેદન આપી પોતાને મળતા ગ્રેચ્યુટીનાં લાભો આપવા માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને આ માગણી કરી હતી. નિવૃત આંગણવાડીની બહેનોએ આવેદનમાં ચીમકી આપી હતી કે, ‘અમારી માગણી નહિ સંતોષાય તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું. આખરે આઇસીડીએસ અધિકારીઓએ લેખિત ખાતરી આપતા સુખદ સમાધાન થયું હતું. નિવૃત મહિલા આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને ૯૦ દિવસમાં તેઓને મળનારી ગ્રેચ્યુટી મળી જશે. આંગણવાડીની મહિલા કાર્યકરો આગામી ૭ તારીખે મતદાન કરશે. જિલ્લા કલેકટરની વિશેષ સૂચનાથી આઇસીડીએસનાં પ્રોગ્રામ ઓફિસર હીરાબેન રાજસાખા કોડીનાર આવ્યા હતા અને આ તમામ બહેનોને મળી જણાવ્યું હતું કે, ‘હાલ આચારસંહિતા અમલમાં હોય ચૂંટણી પુરી થયા બાદ સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને ચૂંટણી બાદ ૯૦ દિવસમાં આપ સૌની ન્યાયિક અને યોગ્ય માગણી પૂર્ણ કરવામાં આવશે.