કોડીનાર, તા.૧૭
નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહભેર ઉજવાતો હોય છે ત્યારે કોડીનાર તાલુકાના દેવળી દેદાજી મુકામે જય અંબે ગરબી મંડળ દ્વારા ૧૯૭૪ થી શરૂ થયેલા બાળાઓના પ્રાચીન ગરબાને આ વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. જ્યાં દરરોજ નાની બાળાઓ દ્વારા આપણી સંસ્કૃતિને અનુરૂપ વિભિન્ન રાસ ગરબા તેમજ કાર્યક્રમનું આયોજન અવિરત થતું આવ્યું છે. દશેરાના દિવસે સમસ્ત દેવળી ગામના દાતાઓ દ્વારા તેમજ જય અંબે ગરબી મંડળ દ્વારા તમામ ૭૪ બાળાઓને વિભિન્ન પ્રકારના ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવરાત્રીનાં આ પાવન પર્વને સફળ બનાવવા વડીલોના માર્ગદર્શન હેઠળ જય અંબે ગરબી મંડળ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.