ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટીયા ગામનાં સામાજિક કાર્યકર વહતુભાઈ શેલારભાઈ કામળીયાએ ગારીયાધાર-જેસરના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, કલેકટર, પી.ડબલ્યુ ડી. વિભાગના કાર્યપાલક ઈજનેર અને મહુવાના તાલુકા વિકાસ અધિકારીને ૩૦મી મેના રોજ પત્ર પાઠવી રજૂઆત કરી છે કે બગદાણાથી કળમોદર – કોટીયા સુધીના સાત કિલોમીટરના માર્ગનું ડામરથી નવીનીકરણ કરવાનું મંજૂર થયેલ છે. આ કામ લોકસભાની ચૂંટણી પહેલા કોન્ટ્રાક્ટરે શરૂ કરેલ, પરંતુ પ્લાન એસ્ટીમેટ મુજબ કરાતું ન હોવાથી કોટીયા ગામના લોકોએ તેને અટકાવ્યું હતું. આથી હવે ચોમાસુ નજીકમાં હોવાથી જો પાંચ દિવસમાં આ કામ શરૂ કરવામાં નહિ આવે તો વહતુભાઈ કામળીયાએ ગ્રામજનોને સાથે રાખીને ભાવનગરમાં કલેકટર કચેરી સામે અને માર્ગ અને મકાન વિભાગની કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ-આંદોલન કરવાની ચીમકી પત્રમાં આપી હતી. કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાના બદલે ખોદાણ કરેલ હોવાથી અને જ્યાં સીસી રોડ આવે તે કામ અધૂરું રાખેલ છે, આથી વરસાદી પાણી ગામમાં આવે તો જાનમાલને નુકસાન થઈ શકે છે. આ સાત કિ.મી.નો ડામરનો માર્ગ ગુણવત્તાયુક્ત બનાવવા રજૂઆત કરેલ છે.