નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ૧૪૨ કરોડ રૂપિયાની ગુનાહિત આવકનો કથિત રીતે લાભ મેળવ્યો છે, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં જણાવ્યું હતું. કોર્ટે આ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા અને અન્ય લોકોને નોટિસ ફટકારી છે. ઈડીના ખાસ વકીલ ઝોહેબ હુસૈને દલીલ કરી હતી કે ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવેલી કોઈપણ મિલકત ગુનાની આવક તરીકે લાયક ઠરે છે. આમાં ફક્ત સુનિશ્ચિત ગુનાઓમાંથી મળેલી મિલકતોનો જ સમાવેશ થતો નથી, પરંતુ તે મિલકતો સાથે જોડાયેલી આવકનો પણ સમાવેશ થાય છે.

ઈડીના ખાસ ફરિયાદી ઝોહેબ હુસૈને દાવો કર્યો હતો કે આરોપીઓને મળેલી ૧૪૨ કરોડ રૂપિયાની ભાડાની આવકને ગુનાની આવક તરીકે ગણવી જોઈએ. તેમણે કહ્યું કે સોનિયા અને રાહુલ ગાંધી, જેમની પાસે યંગ ઇન્ડિયનમાં સામૂહિક રીતે ૭૬% હિસ્સો છે, તેઓ વિશ્વાસઘાતમાં સામેલ હતા. ઈડી અનુસાર, યંગ ઇન્ડિયનએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પાસેથી માત્ર ૫૦ લાખ રૂપિયામાં ૯૦.૨૫ કરોડ રૂપિયાની સંપત્તિ ખરીદી હતી.

ગયા મહિને દાખલ કરાયેલી ચાર્જશીટમાં, ઈડીએ સોનિયા, રાહુલ અને અન્ય ઘણા લોકો પર ૯૮૮ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની અનેક કલમો હેઠળ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને આરોપી નંબર ૧ બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમના પુત્ર રાહુલ ગાંધી, જે લોકસભામાં વિરોધ પક્ષના નેતા પણ છે, તેમને આરોપી નંબર ૨ બનાવવામાં આવ્યા છે.

તેની ચાર્જશીટમાં, કેન્દ્રીય એજન્સીએ તેના આરોપોને સાબિત કરવા માટે આવકવેરા વિભાગના ૨૦૧૭ ના આકારણી આદેશ પર આધાર રાખ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અગ્રણી સભ્યોએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઇન્ડિયનના મુખ્ય અધિકારીઓ સાથે મળીને એજેએલની મિલકતો પર નિયંત્રણ મેળવવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું, જેની કિંમત આશરે રૂ. ૨,૦૦૦ કરોડ હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે એજેએલ એક અનલિસ્ટેડ પબ્લિકક કંપની છે, જે ઐતિહાસિક રીતે નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશન સાથે સંકળાયેલી છે.

નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના ૧૯૩૮માં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. આ અખબાર સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કોંગ્રેસ પાર્ટીનું મુખપત્ર બન્યું. તે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેની સ્થાપના ૧૯૩૭માં થઈ હતી.એજેએલ પાસે દિલ્હી, મુંબઈ, લખનૌ અને અન્ય શહેરોમાં ઘણી અત્યંત મોંઘી મિલકતો હતી, જે તેને સરકારી છૂટછાટો પર મળી હતી. સમય જતાં, નાણાકીય મુશ્કેલીઓ અને નુકસાનને કારણે ૨૦૦૮ માં અખબારનું પ્રકાશન બંધ થઈ ગયું. તે સમયે,એજેએલ પર કોંગ્રેસ પાર્ટીનું ૯૦ કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ દિલ્હીની એક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે ગાંધી પરિવારે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા એજેએલની મિલકતો કપટથી હસ્તગત કરી હતી. તેમના મતે, આ સમગ્ર પ્રક્રિયા ગેરકાયદેસર હતી અને તેનો હેતુ ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો કબજા લેવાનો હતો.

એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે ફરિયાદ એક અધિકૃત અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી. દલીલ કરતી વખતે રાજુએ કહ્યું કે સોનિયા ગાંધી આ કેસમાં પ્રથમ આરોપી છે જ્યારે રાહુલ ગાંધીને બીજા આરોપી બનાવવામાં આવ્યા છે. આ સાથે કુલ ૭ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુમન દુબે, સેમ પિત્રોડા, યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને સુનિલ ભંડારીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

આ બધા આરોપીઓ પર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની મિલકતો ગેરકાયદેસર રીતે હસ્તગત કરીને મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ છે. સોનિયા અને રાહુલ યંગ ઇન્ડિયનના શેરધારકો છે. બંને પાસે ૩૮-૩૮ ટકા શેર છે.

અગાઉ ૮ મેના રોજ, કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસની સુનાવણી મુલતવી રાખી હતી અને તેની નવી તારીખ ૨૧ અને ૨૨ મે નક્કી કરી હતી. અગાઉ ૨ મેના રોજ, કોર્ટે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ ન્યાયાધીશ ગોગણેએ ઈડ્ઢની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે અગાઉના આદેશ મુજબ, તમામ આરોપીઓને નોટિસ જારી કરવામાં આવી છે.ત્યારબાદ ન્યાયાધીશે ઉમેર્યું, “કહેવાય છે કે આજે જ પ્રસ્તાવિત આરોપી ૪ (સેમ પિત્રોડા) ને તેમના વૈકલ્પીક ઇમેઇલ આઈડી પર નોટિસ મોકલવામાં આવી છે; તેથી, આગામી સુનાવણીની તારીખે તેના પર દલીલો સાંભળવી યોગ્ય રહેશે.”

કોર્ટે કહ્યું, “સુબ્રમણ્યમ સ્વામી, જેઓ આ કેસ સંબંધિત કાર્યવાહીમાં મુખ્ય ફરિયાદી છે, તેમણે તેમની હાજરીનો ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે હાલની ફરિયાદ અને દસ્તાવેજાની નકલ પૂરી પાડવા માટે તેમના દ્વારા અરજી દાખલ કરવામાં આવશે.”

કોર્ટે મહિનાની શરૂઆતમાં જ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી દીધી હતી. આ સાથે, કોંગ્રેસના નેતાઓ સેમ પિત્રોડા અને સુમન દુબે, યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને સુનીલ ભંડારીને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે ન્યાયાધીશે કહ્યું હતું કે ચાર્જશીટની નોંધ લેતી વખતે, સોનિયા અને રાહુલને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે. આ કેસમાં ચાર્જશીટ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટની કલમ ૩ (મની લોન્ડરિંગ) અને ૪ (મની લોન્ડરિંગ માટે સજા) હેઠળ દાખલ કરવામાં આવી હતી. ૨૬ જૂન, ૨૦૧૪ ના રોજ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ખાનગી ફરિયાદની નોંધ મેજિસ્ટ્રેટ કોર્ટે લીધા પછી, તાજેતરમાં ચાર્જશીટ દાખલ કરનાર તપાસ એજન્સી ઈડીએ ૨૦૨૧ માં તેની તપાસ શરૂ કરી.