હરિયાણા મોદી સરકારમાં વરિષ્ઠ મંત્રી અને સંસદીય કાર્ય મંત્રીની જવાબદારી સંભાળતા કિરેન રિજિજુએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલાં મોટી ચેતવણી આપી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ પાર્ટી પર હિન્દુઓમાં ભાગલા પાડવાનો અને મુસ્લીમોનું તુષ્ટીકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પહેલાં તેમણે મુસ્લીમોને ચેતવણી આપી અને કહ્યું, ‘મુસલમાનોને મારી ચેતવણી ઃ કોંગ્રેસની વોટબેંક ન બનો!’ બીજી પંકતીમાં તેમણે હિંદુઓ અને અન્યોને ચેતવણી આપતાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો શિકાર ન બનો.
રિજિજુએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ મુસ્લીમોનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી પણ ચૂંટણી દરમિયાન કહે છે કે તેની ૧૫ ટકા મુસ્લીમ વોટ બેંક અનામત છે. આ કોંગ્રેસની વિચારસરણી છતી કરે છે. કોંગ્રેસ પાર્ટી મુસ્લીમોને વોટબેંકના દૃષ્ટિકોણથી જુએ છે તે હકીકત છે. મુસ્લીમો માટે પણ આ મોટું નુકસાન છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસની યોજનાનો એક ભાગ મુસ્લીમોને વોટ બેંક તરીકે રાખવા અને હિંદુઓમાં ભાગલા પાડવાનો છે. તેથી જ આ દિવસોમાં રાહુલ ગાંધીના મોઢામાંથી એસસી- એસટી, ઓબીસી જેવા શબ્દો નીકળી રહ્યાં છે. રાહુલ ગાંધીને એસસી, એસટી અને ઓબીસીની સમસ્યાઓની એબીસીડી પણ ખબર નથી. પરંતુ તેમના મોઢામાંથી આ સતત નીકળતાં રહે છે. તેમને એ જ શીખવવામાં આવ્યું છે. તેઓએ મુસ્લીમોને વોટબેંક બનાવી અને હવે હિંદુઓને પણ એસસી-એસટી અને ઓબીસીમાં વહેંચીને વોટ મેળવવા માંગે છે. તેનાથી દેશને મોટું નુકસાન થઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી આ દેશનાં ટુકડા કરવા માંગે છે.
કોંગ્રેસે અંગ્રેજાની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હેઠળ આટલાં વર્ષો સુધી શાસન કર્યું અને દેશને ગરીબ રાખ્યો. મુસ્લીમ અને બૌદ્ધ સમુદાયનાં લોકોને પછાત બનાવવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. હું સમાજનાં દરેક વર્ગને અપીલ કરવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરમાર્ગે ન દોરાય. કોંગ્રેસને વોટ આપવો એ સૌથી મોટી ભૂલ સાબિત થશે.