ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં ભારે જદ્દોજહેમત બાદ પણ ટીમ ઇન્ડિયાએ સજ્જડ હારનો સામનો કરવો પડ્યો. મેચના બીજા દિવસથી જોઈએ તો હારના સૌથી મોટા ગુનેહગાર કોઈ બીજું નહીં પરંતુ રોહિત શર્મા જોવા મળ્યા. તેમની ૨ મોટી ભૂલ હારનું સૌથી મોટું કારણ બની. બીજી ઇનિંગમાં ટીમની બેટિંગે મેચમાં જીવ રેડી દીધો. પરંતુ રોહિતે સરફરાઝ અને પંતની દમદાર ઈનિંગો પર એક ઝટકે પાણી ફેરવી દીધું.
રોહિત શર્માએ ટેસ્ટના બીજા દિવસે જ ટોસ જીતીને પહેલી ભૂલ કરી નાખી. તેમણે સ્વીકાર્યું કે તેઓ પીચ રીડ કરી શક્યા નહીં અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ લીધો. પરિણામ બધાની સામે હતું. ટીમ ઇન્ડિયાના ધૂરંધરો કાગળના શેર સાબિત થયા અને આખી ટીમ ૪૬ના સ્કોર પર સમેટાઈ ગઈ. પરંતુ જ્યારે મહેમાન ટીમની ખબર લેવાનો વારો આવ્યો તો રોહિતે વધુ એક મોટી ભૂલ કરી અને મેચ ગુમાવી દીધી. કીવી ટીમે મેચને ૮ વિકેટથી જીતીને સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી.
ન્યૂઝીલન્ડની ૩૫૬ રનની લીડના જવાબમાં રોહિત એન્ડ કંપનીએ એકબાજુ જ્યાં સૂજબૂજવાળી બેટિંગ કરી, હિટમેને અડધી સદી ફટકારી અને સરફરાઝે ૧૫૦ રન કર્યા જ્યારે પંતે ૯૯ રન કર્યા. આ દમદાર ઈનિંગ્સના કારણે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે ૧૦૬ રનનો લક્ષ્ય મૂક્યો. બોલિંગ દરમિયાન રોહિતે બુમરાહ, જાડેજા, કુલદીપ, સિરાજનો ઉપયોગ કર્યો. પરંતુ ટીમ ઇન્ડિયાના બ્રહ્મા†ને ભૂલી ગયા. હિટમેને અશ્વીન તરફ ત્યારે જાયું જ્યારે ન્યૂઝીલેન્ડ જીતના દ્વારે ઊભું હતું.
અશ્વીન કોઈ ઓળખાણના મોહતાજ નથી. ભારતની જમીન પર અશ્વીન દમદાર છે. આ દહેશત ન્યૂઝીલેન્ડની ટીમને પણ હતી. પરંતુ રોહિતે બીજી ઈનિંગમાં પોતાના પગ પર કુહાડી મારવાનું કામ કર્યું. ટર્ન મળવા છતાં અશ્વીન તરફ મોડેથી જોયું. તેમના આ નિર્ણયના વિરોધમાં કોમેન્ટેટર્સ પણ જોવા મળ્યા. બીજી બાજુ ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયાને ઘર આંગણે હરાવીને ૩૬ વર્ષ બાદ ઐતિહાસિક જીત મેળવી. મેચનો હીરો રચિન રવિન્દ્ર રહ્યો. જેણે પોતાના પ્રદર્શનથી બધાના મન જીતી લીધા. હવે બીજી મેચ ભારત માટે કરો યા મરો જેવી સ્થિતિ સમાન હશે.