સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરીયાએ કુંકાવાવથી સુરત ટ્રેન શરૂ કરવા માગણી કરી છે. તેમના જણાવ્યા અનુસાર બગસરા, વડીયા, કુંકાવાવ, અમરેલી, ધારી સહિતના વિસ્તારમાં રહેતા લોકોને લાભ મળી રહે તે માટે આ ટ્રેનની સુવિધા શરૂ થાય તે ખૂબ જરૂરી છે. આ તમામ તાલુકામાંથી મોટાભાગના લોકોને સુરત સાથે આર્થિક અને સામાજિક જોડાણ છે. જેને ધ્યાનમાં રાખી મહુવાથી સુરત ટ્રેન મુજબ કુંકાવાવથી સુરત ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવે તો મુસાફરોને સરળતા થઈ શકે તેમ છે. તહેવારોના સમયમાં લોકોના ધસારાને ધ્યાનમાં લઇ ટ્રાવેલ્સ સંચાલકો ભાડામાં તોતિંગ વધારો કરે છે તેવા સમયે ગરીબ લોકોને પોતાના ઘરે આવવા જવા માટે રેલવેથી સસ્તી સુવિધા કોઈ આપી શકે તેમ નથી, તેથી આ બાબતે તાત્કાલિક નિર્ણય કરી ટ્રેન શરૂ કરવા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયાને રજૂઆત કરી છે.