કાશ્મીરમાં પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના હુમલામાં યાત્રીઓના નિધનના સમાચાર સમગ્ર રાષ્ટ્ર અને માનવસમાજ માટે ખૂબ જ દુઃખદાયક છે. આ હૃદયદ્રાવક ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રીઓના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના આત્માની શાંતિ માટે સોમનાથ મહાદેવના પવિત્ર મંદિર ખાતે શાંતિપાઠ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે સંકલ્પ લઈને પૂજા સામગ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરાઈ હતી. આ સામગ્રી દ્વારા પૂજારીઓ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. દુઃખી પરિવારોને આ કપરી પરિસ્થિતિમાં ઇશ્વર સહનશક્તિ આપે તેવી પ્રાર્થના સાથે ટ્રસ્ટના પૂજારી તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા શાંતિપાઠ કરવામાં આવ્યા હતા. આ શોકની ક્ષણમાં સમગ્ર દેશ શોકગ્રસ્ત પરિવારજનોની સાથે ઊભો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ નિધન પામેલાઓના આત્માઓને મોક્ષ પ્રદાન કરે તથા પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.