રાજકોટ દોઢસોફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું, તેના બેનરો મંદિર બહાર લગાવેલા હતા. જેથી પી.ટી.જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા સ્વયંયસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પી.ટી.જાડેજા સામે જસ્મીન મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટના નવજયોતપાર્ક શેરી નં.૪માં રહેતા જસ્મીનભાઈ ભરતભાઈ મકવાણા નામના વેપારીએ તાલુકા પોલીસમાં પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે બીગ બજાર પાછળ આવેલ અમરનાથ મંદિરમાં ૨૫ વર્ષથી સેવા આપું છું. દર સોમવારે મહાઆરતીનું આયોજન થાય છે.

ગત તારીખ ૨૧ના સોસાયટીના લોકો દ્વારા મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હોય જે બાબતે મંદિર બહાર અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજીત મહાઆરતી લખેલુ એક બોર્ડ બેનર લગાડવામાં આવ્યું હતું. જેથી પી.ટી.જાડેજાએ મને ફોન કરી આરતી ન કરવા ધમકી આપી હતી. ત્યારબાદ રાત્રીના ફરી ફોન કરી કહ્યું કે કાલે મંદિરમાં આરતી કરતા નહીં નહીંતર લોહીયાળ ક્રાંતિ થશે અને હું મંદિરમાં તાળુ મારી દઈશ અને તું તો હવે મંદિરમાં આવતો જ નહીં તને તો હું જોઈ જ લઈશ અને તું તો ગ્યો જ છે અને તલવાર લઈને ત્યાંજ બેસીશ કહી મંદિરમાં ન આવવા ધમકી આપી હતી. તેમજ મંદીર બહાર લગાડેલ બોર્ડ પણ પોતે કાઢીને લઈ ગયેલ હતો.આમ અવાર નવાર શખસ સ્વયંસેવકોને ધમકાવતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.