અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ સંદર્ભે બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં ભુરખિયા હનુમાન મંદિર ખાતે સોલાર સિસ્ટમ માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમજ વિવિધ પ્રવાસન સ્થળના વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ ઉપરાંત નાના માચીયાળા ખાતે સંત ભોળીઆઈની જગ્યામાં વિકાસકાર્યો, મોટા આંકડીયામાં આવેલા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું, ભોજાબાપાના જન્મસ્થળનો વિકાસ, રાજુલા ખાતે ધાતરવડી-૧ ડેમ નજીક ધારેશ્વરમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસે તે માટેના વિકાસ કાર્યો, રાજુલાના કુંભનાથ-સુખનાથ મહાદેવ મંદિરને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા બાબતે પ્રાંત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ ગુજરાતના પ્રસિદ્ધ કવિ દુલા ભાયા કાગના જન્મ સ્થળ એવાં મજાદર ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.