ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પશુ-પક્ષીઓની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘કરુણા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ગાંધીનગર ખાતેથી આ અભિયાનની જાહેરાત કરી હતી. આ અભિયાન ૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન ચાલશે. ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવાની સાથે સાથે પશુ-પક્ષીઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે, અને તહેવારને કારણે લોકો દ્વારા પશુઓને ખવડાવવામાં આવતા ખોરાકથી તેમને આફરો કે પોઇઝનિંગ થવાની શક્યતા રહે છે. આથી, આવા પશુ-પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. મંત્રીએ સૌને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી હતી અને સવારે અને સાંજે પક્ષીઓ ખોરાકની શોધમાં હોય ત્યારે પતંગ ન ચગાવવાની અપીલ કરી હતી. તેમણે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પર પણ ભાર મૂક્યો હતો.