લીલીયા તાલુકાના પુતળીયા (દાડમાં) ગામથી મોટા કણકોટ જતા સાડા ત્રણ કિલોમીટર લાંબા રોડ પર સ્થિતિ ચિંતાજનક બની છે. ચોમાસાના કારણે કોઝવે પાસે માટીનું ભારે ધોવાણ થયું છે, જેના કારણે અંદાજે ૫ ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. આ માર્ગ પર રેતી ભરેલા ડમ્પર, લક્ઝરી બસો અને એસ.ટી. બસો સહિત મોટા વાહનોની અવરજવર રહે છે. સામસામે વાહનો આવે ત્યારે બાજુમાંથી પસાર થવાનું મુશ્કેલ બન્યું છે, જેના કારણે વાહનો ખાડામાં પડવાનું અને જાનહાનિનું જોખમ સર્જાયું છે. દેવળીયાનો રોડ રિપેરિંગ હેઠળ હોવાથી, કણકોટથી અમરેલી જવા માટે આ માર્ગનો જ ઉપયોગ કરવો પડે છે. રાહદારીઓએ જણાવ્યું હતું કે આ કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ થવું જરૂરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. સ્થાનિક લોકોએ આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે.