મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેનાલમાં ડૂબી જવાથી બે લોકોના મોતની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મુન્દ્રાના ભોરારા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં બે અજાણ્યા વ્યકિતઓ ડૂબી ગયા હતા, જેની જાણ થતાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે, ત્યારે આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વિગતે વાત કરીએ તો, કચ્છના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે વ્યકિતઓ અગમ્ય કારણોસર ડૂબી ગયા હતા. જે ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા જાવા માટે ઘટનાસ્થળે એકઠા થયા હતા અને બાદમાં સમગ્ર બનાવની જાણ સ્થાનિક ફાયર વિભાગની ટીમને કરાઈ હતી.
બાદમાં ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ  ઓપરેશન હાથ ધર્યું હતું. જે બાદ અંદાજે ત્રણ કલાકની સતત શોધ અને બચાવ કામગીરી બાદ બંને વ્યકિતઓના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
હાલની માહિતી મુજબ, ભોરારા ગામ પાસે પસાર થતી આ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી પ્રાણ ગુમાવેલા બંને વ્યકિતઓની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, જેથી આ મામલે પોલીસ બંનેની ઓળખ કરવાની દિશામાં તપાસ કરી રહી છે, જેથી આગામી સમયમાં આ ગંભીર ઘટનાની હકીકત બહાર આવશે, જેના પર સૌની નજર રહેશે.