ઓપરેશન સિંદૂરથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનનું એક નવું કૃત્ય સામે આવ્યું છે. તેણે ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનમાં તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓ પર બદલો લેવાનું શરૂ કર્યું છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન ભારતીય રાજદ્વારીઓ અને કર્મચારીઓની પાણી અને ગેસ જેવી મૂળભૂત જરૂરિયાતો પણ બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પાઇપલાઇન ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. રાજદ્વારીઓ અને તેમના પરિવારના સભ્યોને ખુલ્લા બજારમાં ઊંચા ભાવે ગેસ ખરીદવો પડે છે. ત્યાંના સ્થાનિક વિક્રેતાઓ પેકેજ્ડ પીવાનું પાણી પણ પૂરું પાડવામાં ખચકાટ અનુભવી રહ્યા છે અને હાઇ કમિશનના અધિકારીઓ અને કર્મચારીઓના ઘરે અખબારો પહોંચાડવાનો પણ ઇનકાર કરી દીધો છે. જ્યારે પાકિસ્તાનનું આ કૃત્ય વિયેના કન્વેન્શનનું ઘોર ઉલ્લંઘન છે, જે દૂતાવાસોની સુગમ કામગીરી અને તેમના કર્મચારીઓની સલામતી અને સન્માનની ખાતરી આપે છે.

સુઇ નોર્ધન ગેસ પાઇપલાઇન્સ લિમિટેડ  ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશન સંકુલમાં પાઇપલાઇન ગેસ સપ્લાય કરે છે. પરંતુ, તેનો પુરવઠો જાણી જાઈને બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક એલપીજી સિલિન્ડર વેચનારાઓને પણ પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ભારતીય હાઇ કમિશનના કર્મચારીઓને તે ન વેચવાની ધમકી આપવામાં આવી છે. આ કારણે, રાજદ્વારીઓ અને તેમના પરિવારોને ખુલ્લા બજારમાંથી ગેસ ખરીદવો પડે છે, જે ખૂબ મોંઘા છે.તમને જણાવી દઈએ કે ૨૦૧૯ના પુલવામા હુમલા અને બાલાકોટ હવાઈ હુમલા પછી બંને દેશો વચ્ચે કોઈ ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ નથી. તાજેતરના મહિનાઓમાં, ઓપરેશન સિંદૂર અને સિંધુ જળ સંધિના કડક પાલનને કારણે તણાવ વધુ વધ્યો છે.