આઇફોન નિર્માતા કંપની એપલે ભારત સરકારને ખાતરી આપી છે કે દેશ માટે તેની રોકાણ યોજનાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં એપલની ઉત્પાદન હાજરીની જાહેરમાં ટીકા કર્યા બાદ એપલ તરફથી આ પ્રતિબદ્ધતા આવી છે. એક અહેવાલમાં એક સરકારી સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારતમાં એપલની રોકાણ યોજનાઓમાં કોઈ ફેરફાર થયો નથી અને કંપનીએ ભારત સરકારને ભારતને એક મુખ્ય ઉત્પાદન આધાર તરીકે ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતા અંગે ખાતરી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારના દોહામાં એક બિઝનેસ ઇવેન્ટ દરમિયાન કહ્યું કે તેમણે એપલના સીઈઓ ટિમ કૂક સાથે ભારતમાં કંપનીના વિસ્તરણ અંગે વાત કરી છે. “મને ગઈકાલે ટિમ કૂક સાથે થોડી સમસ્યા થઈ હતી,” ટ્રમ્પે કહ્યું. મેં તેને કહ્યું મારા મિત્ર, હું તારી સાથે ખૂબ સારો વ્યવહાર કરું છું… પણ હવે મને ખબર પડી છે કે તું આખા ભારતમાં ઉત્પાદન કરી રહ્યો છે. હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો. મેં કૂકને કહ્યું કે ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે. ભારતને બદલે, એપલે અમેરિકામાં તેનું ઉત્પાદન વધારવું જાઈએ.
આ ટિપ્પણીઓ છતાં, ભારતનો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ આત્મવિશ્વાસ ધરાવે છે. ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડીયાના સેક્રેટરી જનરલ રાજા ગોયલે જણાવ્યું હતું કે, “થોડી મંદી હોઈ શકે છે, પરંતુ મને ખરેખર નથી લાગતું કે તેની ભારત પર એટલી અસર થશે.” ગોયલે ટ્રમ્પની ટિપ્પણીઓને “માત્ર એક નિવેદન” ગણાવી અને આશા વ્યક્ત કરી કે યુએસ રાષ્ટ્રપતિ “પોતાનું વલણ બદલી શકે છે.”
ભારત એપલ માટે એક મહત્વપૂર્ણ ઉત્પાદન આધાર બની ગયું છે. કંપનીએ માર્ચ ૨૦૨૫ માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં દેશમાં લગભગ ઇં૨૨ બિલિયનના મૂલ્યના આઇફોનનું ઉત્પાદન કર્યું હતું, જે પાછલા વર્ષ કરતાં ૬૦% વધુ છે. હાલમાં, વિશ્વભરમાં દર પાંચમાંથી એક આઇફોન ભારતમાં બનાવવામાં આવે છે.