તમિલનાડુ સરકારે રેસ્ટોરાં, હોટલો અને ચાની દુકાનોને વાણિજયક એલપીજી સિલિન્ડરોને બદલે ઇલેક્ટ્રીક સ્ટોવનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે વીજળી પર પ્રતિ યુનિટ ૨ ની સબસિડીની જાહેરાત કરી છે. સરકારે જણાવ્યું હતું કે ૨૮ ફેબ્રુઆરીથી પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા સંઘર્ષ બાદ કેટરિંગ સંસ્થાઓ માટે વાણિજયક એલપીજી સિલિન્ડરોની ઉપલબ્ધતા અંગે ચિંતાઓ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના જણાવ્યા અનુસાર, કટોકટી શરૂ થઈ ત્યારથી મુખ્યમંત્રી એમકે સ્ટાલિન વારંવાર સમીક્ષા બેઠકો યોજી રહ્યા છે. આ પહેલનો ઉદ્દેશ્ય નાના અને મધ્યમ કક્ષાના કેટરિંગ વ્યવસાયોને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત પૂરા પાડવાનો અને ઇંધણ પુરવઠા અંગેની અનિશ્ચિતતાની અસરને ઘટાડવાનો છે.
શનિવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં, રાજ્ય સરકારે ઇન્ડક્શન સ્ટવનો ઉપયોગ કરતી હોટલ, ચાની દુકાનો અને ક્લાઉડ કિચન માટે વધારાના વીજળી વપરાશ પર પ્રતિ યુનિટ ૨ ની સબસિડી આપવાનો નિર્ણય લીધો. જ્યાં સુધી કેન્દ્ર સરકારના વાણિજયક એલપીજી ઉપયોગ પરના નિયંત્રણો અમલમાં રહેશે ત્યાં સુધી આ સબસિડી અમલમાં રહેશે. અધિક મુખ્ય સચિવ જે. રાધાકૃષ્ણને આ વાતની પુષ્ટિ કરી.
સબસિડી યોજનાનો હેતુ રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય સંસ્થાઓને પરંપરાગત એલપીજી સિલિન્ડરો પરની નિર્ભરતા ઘટાડવા અને ઇલેક્ટ્રીક ઉપકરણો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ માત્ર એલપીજી ના ભાવમાં વધઘટનું જાખમ ઘટાડવામાં મદદ કરશે નહીં પરંતુ પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પણ પ્રોત્સાહન આપશે.