શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) ના નેતા સંજય રાઉતે બુધવારે એક મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેના આંકડા અંગે વિશ્વાસ નથી. એટલા માટે એનડીએના નેતાઓ વિપક્ષી પક્ષો પાસેથી સમર્થન માંગી રહ્યા છે. રાઉતે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે તમારી પાસે બહુમતી છે, તો તમારે વિપક્ષના સમર્થનની કેમ જરૂર છે.

દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે વિપક્ષી ગઠબંધનના આંકડા પણ ઓછા નથી. વિપક્ષે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતાર્યા છે. રાઉતે દાવો કર્યો કે ભાજપના નેતાઓએ સત્તાવાર રીતે અનેક વિપક્ષી પક્ષોનો સંપર્ક કર્યો અને મતો માટે અપીલ કરી.

રાઉતે સીધો પ્રશ્ન ઉઠાવ્યો કે જો એનડીએને સંસદમાં બહુમતીનો વિશ્વાસ છે, તો પછી વિપક્ષી નેતાઓનો સંપર્ક કરવાની ફરજ કેમ પડી. તેમણે કહ્યું કે આ સ્પષ્ટ સંકેત છે કે એનડીએની સ્થિતિ એટલી મજબૂત નથી જેટલી તે બતાવવાનો પ્રયાસ કરી રહી છે. રાઉતે આરોપ લગાવ્યો કે આ વખતે પણ શાસક ગઠબંધન પોતાની રાજકીય તાકાત દર્શાવતા પહેલા વિપક્ષ સાથે વાતચીત કરવામાં નિષ્ફળ ગયું.

સંજય રાઉતે ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાજ્યપાલ રાધાકૃષ્ણન પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જ્યારે રાધાકૃષ્ણન ઝારખંડના રાજ્યપાલ હતા, ત્યારે રાજભવનમાંથી જ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાઉતના મતે, આ સમગ્ર કાર્યવાહી બંધારણીય પરંપરાઓ વિરુદ્ધ હતી. તેમણે આરોપ લગાવ્યો કે રાધાકૃષ્ણને તે સમયે ઈડ્ઢ અધિકારીઓને રોક્્યા ન હતા અને ન તો તેમણે બંધારણીય મર્યાદામાં પોતાની ભૂમિકા ભજવી હતી.

રાજ્યસભા સાંસદ રાઉતે કહ્યું કે વિપક્ષની લડાઈ ફક્ત એક પદ માટે નથી, પરંતુ તે લોકશાહી બચાવવાની લડાઈ છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વિપક્ષ સરમુખત્યારશાહી વલણો અને તેને ટેકો આપતી શક્તિઓ સામે ઉભો છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૯ સપ્ટેમ્બરે યોજાવાની છે અને આ ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિપક્ષ અને શાસક પક્ષ બંને પોતપોતાના ઉમેદવારો માટે સમર્થન એકત્ર કરવામાં વ્યસ્ત છે.