ઉના અને ગીરગઢડા તાલુકામાં છેલ્લા ૧૨ દિવસથી રોજ વરસી રહેલ વરસાદને લીધે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. ખાસ તો હાલ મગફળી, સોયાબીનના પાકોને લણણી કરવાનો પૂરો સમય થઈ ગયો છે. ખેડૂતોને આ વરસાદે રાતા પાણીએ રોવડાવ્યા છે. મોંઘા બિયારણો અને ખાતરોથી લીધેલી ઉપજ હવે પાકી ગઈ છે ત્યારે આ ચોમાસુ સિઝનના પાછલા વરસાદને લીધે મગફળી, સોયાબીન અને ખાસ તો મોંઘા ભાવનું ખરીદેલ ડુંગળીના રોપનું વાવેતર બગડી રહ્યું છે. મગફળીના ખેંચેલા પાક ઉપર સતત પડી રહેલા વરસાદથી મગફળીમાં ફૂગ લાગી ગઈ છે. આ મગફળીની ગુણવત્તા પણ ઓછી થવાના કારણે ખેડૂતોને તેને બજાર ભાવ કરતાં ઓછા ભાવે વેચવી પડશે. આ સિવાય ખેડૂતો મગફળીનું વાવેતર પોતાના દુધાળા પશુઓ માટે ચારો મળી રહે તેના માટે કરતા હોય છે, તે ચારોલુ પણ વરસાદના કારણે ખરાબ થઇ ગયું છે. દિવાળી ટાણે વરસાદ વેરી બનતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉદ્યોગપતિઓને કરોડોનું લેણું માફ કરતી આ સરકાર હવે ખેડૂતોને માથે આવી પડેલ આફતમાંથી ઉગારે અને કોઈ સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.