ઉત્તરાખંડમાં ૧૩ સપ્ટેમ્બર એટલે કે શનિવારથી ફરી એકવાર ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. ઉત્તરકાશીના ધારાલીમાં થયેલી દુર્ઘટના બાદ ગંગોત્રી અને યમુનોત્રી ધામ જતો હાઇવે ક્ષતિગ્રસ્ત થયો હતો, જેના કારણે યાત્રા પર રોક મુકવી પડી હતી.. હવે ગંગોત્રી ધામ સુધીનો રસ્તો રિપેર કરવામાં આવ્યો છે,  જેના કારણે ૯ સપ્ટેમ્બરથી ગંગોત્રી ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. હવે ૧૩ સપ્ટેમ્બરથી યમુનોત્રી ધામ યાત્રા શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યમુનોત્રી ધામ હાઇવેને ટ્રાફિક માટે ખોલવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. કેદારનાથ અને બદ્રીનાથનો રસ્તો પણ લગભગ તમામ સ્થળોએ ખુલી ગયો છે. આવી સ્થિતિમાં, હવે ભક્તો ચારધામ યાત્રા પર આવી શકશે.આ અંગે ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે યમુનોત્રીના જંગલચટ્ટી પાસે લગભગ ૧૫૦ મીટર રસ્તો તૂટી ગયો હતો. તેના સમારકામનું કામ અંતિમ તબક્કામાં છે. ૧૩ સપ્ટેમ્બરથી યમુનોત્રી ધામ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, ઋષિકેશ અને હરિદ્વારમાં સ્થાપિત ઓફલાઇન યાત્રા નોંધણી કાઉન્ટર પણ ખોલવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે હવામાન અને રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મર્યાદિત સંખ્યામાં મુસાફરોને ગંગોત્રી ધામ મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં, ધારસુ, નાલુપાની, હેલગુગડ, ડાબરાની ગંગોત્રી રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર સંવેદનશીલ સ્થળો છે, જ્યાં સમયાંતરે ભૂસ્ખલન થઈ રહ્યું છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરતી મશીનરી અને ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓએ ઘરેથી નીકળતા પહેલા હવામાન વિશે માહિતી લેવી જ જાઇએ, જેથી રસ્તો બંધ થવાના કિસ્સામાં તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ચારધામ યાત્રા પૂર્ણ થવામાં હવે ફક્ત બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે. બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાનો શુભ સમય વિજયાદશમીના રોજ નક્કી કરવામાં આવશે. આ પછી, ૨૩ ઓક્ટોબરના રોજ ભાઈબીજના દિવસે દરવાજા બંધ કરવામાં આવશે.