ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટો અકસ્માત થયો છે. સવારે ૯ વાગ્યે ગંગાનાઈ નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં ૬ મુસાફરોના મોત થયા છે. હેલિકોપ્ટરના કાટમાળના ફોટા પણ સામે આવ્યા છે. આ હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હોવાનું કહેવાય છે અને તે ગંગોત્રી તરફ જઈ રહ્યું હતું. સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે હાજર થઇ ગયા હતાં અને બચાવ તથા રાહતની કામગીરી શરૂ કરી હતી
ઉત્તરકાશી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો. ગંગોત્રી ધામ તરફ જઈ રહેલ એરો ટ્રાન્સ ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માત ગંગાનાઈથી આગળ, નાગ મંદિરની નીચે, ભાગીરથી નદી પાસે બન્યો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર, હેલિકોપ્ટર ગંગોત્રી ધામની યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ રહ્યું હતું.
ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને રાહત એજન્સીઓ એક્શનમાં આવી ગઈ. પોલીસ, ખાસ સૈન્ય ટુકડી, આપત્તિ વ્યવસ્થાપન કયુઆરટી ટીમ,એનડીઆરએફ,એસડીઆરએફ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, તહસીલદાર ભટવાડી,બીડીઓ ભટવાડી અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હાલમાં, અકસ્માતનું કારણ જાણી શકાયું નથી અને ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વધુ માહિતીની રાહ જાવાઈ રહી છે.
આ મામલે ઉત્તરાખંડના સીએમ ધામીનું નિવેદન સામે આવ્યું છે. સીએમ ધામીએ ટ્વીટર પર પોસ્ટ કરીને કહ્યું, ‘ઉત્તરકાશીના ગંગણી નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં કેટલાક લોકોના મોતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માઓને ભગવાન શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઘાયલોને શક્ય તમામ સહાય પૂરી પાડવા અને અકસ્માતની તપાસ કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભે, હું સતત અધિકારીઓના સંપર્કમાં છું અને દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.