ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૩ મહિના સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં મૃત્યુઆંક ૪૪,૦૦૦ને વટાવી ગયો છે. પેલેસ્ટાઈનના સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવારે આ અંગેની માહિતી આપી હતી. ગાઝા આરોગ્ય મંત્રાલય તેની ગણતરીમાં નાગરિકો અને લડવૈયાઓ વચ્ચે ભેદ પાડતું નથી, પરંતુ જણાવ્યું છે કે મૃતકોમાં અડધાથી વધુ મહિલાઓ અને બાળકો હતા. ઈઝરાયેલી સેનાએ કોઈ પુરાવા આપ્યા વિના કહ્યું છે કે તેણે ૧૭,૦૦૦થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૪૪,૦૫૬ લોકો માર્યા ગયા છે અને ૧૦૪,૨૬૮ ઘાયલ થયા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે વાસ્તવિક મૃત્યુઆંક વધારે છે કારણ કે હજારો મૃતદેહો કાટમાળ હેઠળ અથવા એવા વિસ્તારોમાં દટાયેલા છે જ્યાં ડોક્ટરો પહોંચી શકતા નથી. ગાઝામાં સ્થિતિ એવી છે કે લોકોને ભોજન અને પાણી પણ નથી મળી રહ્યું. લાખો લોકો વિસ્થાપિત પણ થયા છે.
બંને પક્ષો વચ્ચે યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસની આગેવાની હેઠળના આતંકવાદીઓએ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો શરૂ કર્યો, જેમાં લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયા. આ સમય દરમિયાન, હમાસ લડવૈયાઓએ ૨૫૦ લોકોનું અપહરણ કર્યું હતું, જેમાંથી લગભગ ૧૦૦ લોકો હજુ પણ ગાઝામાં બંધક છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમાંથી ઓછામાં ઓછા એક તૃતીયાંશ લોકો મૃત્યુ પામ્યા છે.