સ્વ-ઘોષિત બાબા આસારામના પુત્ર નારાયણ સાંઈ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્દોર ફેમિલી કોર્ટે નારાયણ સાંઈની પત્નીની છૂટાછેડાની અરજી મંજૂર કરી છે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે છૂટાછેડા પછી નારાયણ સાંઈએ મહિલાને કાયમી ભરણપોષણ તરીકે ૨ કરોડ ચૂકવવા પડશે. નોંધનીય છે કે નારાયણ સાંઈ હાલમાં જેલમાં છે. બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ તેઓ ગુજરાતની સુરત જેલમાં સજા કાપી રહ્યા છે.
નારાયણ સાંઈની ઇન્દોર સ્થિત પત્ની જાનકી હરપલાનીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ અનુરાગચંદ્ર ગોયલે આ માહિતી આપી. તેમણે સમજાવ્યું કે, “અમારા ક્લાયન્ટે ૨૦૧૮માં સ્થાનિક ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, જેમાં તેમના પતિ સામે માનસિક ક્રૂરતા અને અન્ય આરોપોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને કાયમી ભરણપોષણ માટે ૫ કરોડ રૂપિયા (આશરે ૧.૫ મિલિયન ડોલર) ની એક સાથે રકમ માંગી હતી. જાકે નારાયણ સાંઈએ કોર્ટમાં આ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ તેમના ક્લાયન્ટે તેમના પતિ વિરુદ્ધ છૂટાછેડાની અરજીમાં “નક્કર દસ્તાવેજી પુરાવા” રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, ફેમિલી કોર્ટના ન્યાયાધીશે ૨ એપ્રિલે અરજી મંજૂર કરી અને આદેશ આપ્યો કે નારાયણ સાંઈ જાનકીને ત્રણ મહિનાની અંદર ૨ કરોડ રૂપિયા (આશરે ૧.૫ મિલિયન ડોલર) કાયમી ભરણપોષણ ચૂકવે.”
જાનકી હરપલાનીના વકીલના જણાવ્યા મુજબ, નારાયણ અને જાનકીના લગ્ન ૨૦૦૮ માં થયા હતા અને તેમને કોઈ સંતાન નથી. ૨૦૧૮ ના છૂટાછેડા કેસમાં, ફેમિલી કોર્ટે નારાયણ સાંઈને તેમની પત્નીને ભરણપોષણ તરીકે દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. જાકે, નારાયણ સાંઈએ આઠ વર્ષ સુધી કોઈ રકમ ચૂકવી ન હતી.









































