પાકિસ્તાનના આતંકવાદને ભારત ખતમ કરી શકે ?
પહેલગામ હુમલા પછી આ સવાલ પણ પૂછાઈ રહ્યો છે. પહેલગામ હુમલાનો જવાબ આપવા અથવા બદલો લેવા માટે ભારત સરકાર કંઈક મોટું કરશે એવી સૌને ધારણા હતી પણ હજુ કશું મોટું થયું નથી. ભારત સરકાર રાજદ્વારી પગલાં દ્વારા પાકિસ્તાનને ભિડાવવા મથ્યા કરે છે. બીજી તરફ આતંકવાદ સામે જરૂરી લાગે એ બધું કરવાની આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મીને છૂટ આપી દીધી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને લશ્કરની ત્રણેય પાંખના વડા સાથેની બેઠકમાં મોદીએ આર્મીને ટાર્ગેટ અને સમય પણ નક્કી કરીને જરૂરી લાગે એ પગલાં લેવાની છૂટ આપી દીધી છે.
આર્મી પહેલાં જ કહી ચૂકી છે કે, સંસદે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાછું લેવાનો ઠરાવ કરેલો તેથી સંસદ આદેશ આપશે તો પીઓકે પાછું લેવા આક્રમણ કરી દઈશું. વડાપ્રધાન સંસદના નેતા છે તેથી તેમણે આ આદેશ આપવો પડે પણ તેમણે આર્મી પર નિર્ણય છોડી દેતાં હવે શું થશે એ સવાલ છે.
પીઓકે પાછું લેવાનો ઉદ્દેશ આતંકવાદનો ખાતમો કરવાનો છે તેથી ભારત આતંકવાદને ખતમ કરી શકે છે કે નહીં એ સવાલ પૂછાવો સ્વાભાવિક છે.
આ સવાલનો જવાબ સરળ છે.
પાકિસ્તાન પર આક્રમણ કર્યા વિના પીઓકે પાછું લઈ શકાય તેમ નથી અને પીઓકે ના લઈ શકાય તો આતંકવાદને ખતમ ના કરી શકાય એ જોતાં આક્રમણ જ એક માત્ર રસ્તો છે.

પાકિસ્તાન આતંકવાદનો અડ્ડો છે.
પાકિસ્તાનમાં અત્યારે નાનાં-મોટાં ૧૦૦ જેટલાં આતંકવાદી સંગઠનો કામ કરે છે કે જેમાં અલ કાયદા, લશ્કર-એ-ઉમર, લશ્કર-એ-તઈબા, જૈશ-એ-મહંમદ, સિપાહ-એસહાબા, જૈશ-ઉલ-અદ અને હક્કાની નેટવર્ક સૌથી મોટાં આતંકી સંગઠનો છે. આ સંગઠનો પાસે એક લાખથી વધારે આતંકવાદીઓ હોવાનું મનાય છે કે જે ભારત અને અફઘાનિસ્તાન બંનેને પરેશાન કરે છે. પાકિસ્તાનભરમાં ફેલાયેલા મદરસાઓ પર આતંકીઓનો કબજો હોવાથી કૂમળાં બાળકોના માનસમાં કટ્ટરવાદનું ઝેર ભરીને તેમને પણ આતંકવાદના રસ્તે વાળે છે. આતંકવાદી સંગઠનો વચ્ચે પણ મતભેદો છે અને પાકિસ્તાનથી અલગ થવા માગતાં સંગઠનો પણ છે તેથી વચ્ચે વચ્ચે પાકિસ્તાનમાં પણ હુમલા થયા કરે છે પણ તેનાથી ના સરકારને ફરક પડે છે કે ના આર્મીને. પાકિસ્તાનમાં આતંકી હુમલામાં પચાસ-સો માણસો મરી જાય તેનાથી અલિપ્ત રહીને આઈએસઆઈ અને પાકિસ્તાની લશ્કર ભારતમાં આતંકવાદ ફેલાવ્યા કરે છે. આતંકવાદીઓને પણ કોઈ ફરક પડતો નથી. પાકિસ્તાન આતંકવાદથી ગ્રસ્ત છે એવો દેખાડો કરવા પાકિસ્તાનમાં નિર્દોષ લોકોની હત્યા કરાવવામાં તેમને કોઈ છોછ નડતો નથી.
આતંકવાદી સંગઠનોને પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈ મદદ કરે છે તેના બદલામાં આતંકવાદીઓની મદદથી ડ્રગ્સ અને ખંડણીનો કારોબાર ચલાવવામાં આઈએસઆઈને મદદ કરે છે. ભારત સામે પાકિસ્તાનની લડવાની તાકાત નથી તેથી આતંકવાદીઓને આગળ કરીને પાકિસ્તાન ભારત સામે પ્રોક્સી વોર ખેલે છે. આતંકવાદીઓને આગળ કરીને પાકિસ્તાન લશ્કરના અધિકારીઓ ભૂતકાળમાં ભારત સામે થયેલી કારમી હારોનો બદલો લઈએ છીએ એવા ભ્રમમાં રાચ્યા કરે છે ને ખુશ થાય છે.

પાકિસ્તાનને આતંકવાદનો અડ્ડો અમેરિકાએ બનાવ્યો છે.
પાકિસ્તાન પહેલાં આતંકવાદના રસ્તે નહોતું એવું નથી કેમ કે કાશ્મીરમાં અને પછી ભારતના પંજાબમાં પાકિસ્તાન આતંકવાદ ફેલાવતું જ હતું. ભારત સામે ૧૯૭૧ના યુધ્ધમાં કારમી હાર પછી પાકિસ્તાન ભારત સામે સીધા જંગમાં લડવાના બદલે ફુલ ફ્‌લેજ્ડ આતંકવાદ તરફ વળ્યું પણ એ પહેલાં પણ આતંકવાદની નાની નાની ઘટનાઓ બનતી જ હતી. પાકિસ્તાને જેમને ૧૯૪૭માં ભારતમાં ઘૂસાડ્‌યા એ કબાલીઓ આતંકવાદીઓ જ હતા તેથી કાશ્મીરમાં ૧૯૪૭થી જ આતંકવાદ શરૂ થઈ ગયેલો જ્યારે પંજાબમાં પાકિસ્તાને ૧૯૭૦ના દાયકામાં આતંકવાદ ભડકાવ્યો.
અમેરિકાની એન્ટ્રી ૧૯૮૦માં થઈ.
અફઘાનિસ્તાનમાં રશિયન લશ્કરની એન્ટ્રીના પગલે અમેરિકા તથા તેના સાથી દેશો પાકિસ્તાનમાં ઘૂસ્યા ને એવો આતંકવાદ ભડકાવ્યો કે, પાકિસ્તાન તેમાંથી કદી બહાર જ ના નીકળી શક્યું. ૧૯૮૦ના દાયકામાં સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલ્યું ત્યારે અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે કોલ્ડ વોર ચાલતી હતી. રશિયા અફઘાનિસ્તાનમાં કબજો કરીને રહેવા લાગ્યું તેથી અમેરિકાને તકલીફ થઈ. અમેરિકાની જાસૂસી સંસ્થાએ રશિયન લશ્કરને અફઘાનિસ્તાનમાંથી હટાવવા બિડું ઝડપ્યું. સાઉદી અરેબિયાના શાહી પરિવારનો તેને સાથ મળ્યો ને બંનેએ સાથે મળીને પાકિસ્તાનના શાસકોને ફોડીને આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરવાની મંજૂરી લઈ લીધી તેમાં આખી દુનિયાને ભરડામાં લેનારો આતંકવાદનો રાક્ષસ પેદા થયો.
સોવિયત લશ્કરને પરેશાન કરવા અમેરિકાએ દુનિયાભરના આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં ખડકી દીધા હતા. તેમના માટે ટ્રેઈનિંગ કેમ્પ પાકિસ્તાનના લશ્કરે ઉભા કર્યા અને આઈએસઆઈએ ભરતી કરીને તેમને મુઝાહિદ્દીન નામ આપ્યું. આ મુઝાહિદ્દીનો માટે આઈએસઆઈ કેમ્પ ચલાવતી. ટ્રેઈનિંગ અમેરિકાના અધિકારીઓએ આપી ને એ રીતે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓનો ફાલ ઉતરવા માંડ્‌યો કે જેમનું કામ અફઘાનિસ્તાનમાં રશિયન આર્મીને પરેશાન કરવાનું હતું. પાકિસ્તાની યુવકોને રશિયા સામે લડવા મોકલાતા અમેરિકાના ઈશારે એ લોકો સોવિયેત રશિયા સામે લડતા ને મરતા પણ પાકિસ્તાની શાસકોને કોઈ ફરક નહોતો પડતો.
અમેરિકા અને સાઉદીએ આ મુસ્લિમ આતંકીઓને તન, મન, ધનથી મદદ કરેલી. ઓસામા બિન લાદેન, અયમાન અલ ઝવાહીરી સહિતના આતંકવાદીઓ વિદેશથી આવીને પાકિસ્તાનમાં ધામા નાંખીને રહેવા માંડ્‌યા. હફિઝ સઈદ, ફઝસુર રહેમાન, ઝકી ઉર રહેમાન લખવી સહિતના પાકિસ્તાની આતંકીઓનો તેમને સાથ મળ્યો. અમેરિકાએ આતંકવાદીઓને તેમણે કદી ના જોયાં હોય એવાં અત્યાધુનિક હથિયારો આપ્યાં અને ઐશથી રહી શકાય તેવી સગવડો આપી તેથી આ અઆતંકવાદીઓ પાકિસ્તાનમાં જ જામી ગયા.

આતંકવાદ પાકિસ્તાનીઓ માટે ધીકતો ધંધો હતો.
પાકિસ્તાનનું લશ્કર ને આઈએસઆઈ આતંકીઓ અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી હતાં તેથી તેમને પહોંચાડાતી રકમ અને શસ્ત્રો પણ આર્મી-આઈએસઆઈના માધ્યમથી મળતા હતા. આર્મી-આઈએસઆઈના અધિકારીઓએ તેમાંથી ધૂમ કટકી ખાધી અને શાસકોએ પણ અમેરિકાને ખંખેર્યું. તેના કારણે આર્મી-આઈએસઆઈ, નેતાઓ માલદાર થયા ને આ હરામની કમાણીની એવી લત લાગી કે છૂટી જ નહીં.
રશિયા ૧૯૮૭માં અફઘાનિસ્તાનમાંથી ખસી ગયું પછી આ બધા નવરા થઈ ગયા પણ ત્યાં તેમની પાસે જંગી પ્રમાણમાં શસ્ત્રો હતાં. અમેરિકાને રશિયાને ભગાડવામાં રસ હતો તેથી શસ્ત્રોનું શું થયું તે જાણવામાં તેમને કંઈ રસ નહોતો તેથી એ બધું આતંકીઓ પાસે જ રહ્યું. અમેરિકાનો સ્વાર્થ પતી ગયો એટલે અમેરિકા હાથ ખંખેરીને ઉભું થઈ ગયું. અમેરિકાએ આતંકવાદીઓને સીધી મદદ બંધ કરી એટલે પાકિસ્તાને તાલિબાનનો તંબૂ ઉભો કરાવીને સાઉદી અરેબિયાની મદદ ચાલુ કરાવીને પોતાનો ધિકતો ધંધો ચાલુ રાખ્યો.
સાઉદીના શાહી પરિવારનાં નાણાં, અમેરિકાનાં શસ્ત્રો ને પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈની પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરવાની મદદના કારણે આતંકવાદીઓએ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી લીધી.
અફઘાનિસ્તાન કબજે કર્યું પછી કટ્ટરવાદી, ધર્માંધ આતંકવાદીઓને લાગ્યું કે, આ રીતે આખી દુનિયા કબજે કરી શકાય છે અને ઈસ્લામનું શાસન આખી દુનિયા પર સ્થાપી શકાય છે.
આ દીવાસ્વપ્ન હતું ને એ પૂરું થવા આડે અમેરિકા મોટો અવરોધ હતું કેમ કે અમેરિકા એશિયામાં જ ઈસ્લામનું શાસન હોય એવા પેલેસ્ટાઈનનું સપનું સાકાર થવા નહોતું દેતું. ઈઝરાયલને મદદ કરીને અમેરિકાએ મુસ્લિમ રાષ્ટ્ર પેલેસ્ટાઈનના સપનાને રોળી નાંખેલું તેથી અમેરિકાનો પહેલો ખાતમો કરવો જરૂરી છે એવું આતંકીઓને લાગ્યું.
આ વિચાર પણ પાકિસ્તાને જ આપેલો કેમ કે અમેરિકાને આંચકો લાગે તો જ પાછી કમાણી શરૂ થાય. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓનો કબજો થયો તેથી અમેરિકાને કોઈ ફરક નહોતો પડતો એટલે અમેરિકાએ પાકિસ્તાનને મદદ બંધ કરેલી. અમેરિકાને આંચકો આપવા પાકિસ્તાને નાઈન ઈલેવનના હુમલાનું કાવતરું ઘડવામાં ઓસામા બિન લાદેનને મદદ કરી. પાકિસ્તાન અને સાઉદીના શાહી પરિવારની આ હુમલામાં સંડોવણીના પુરાવા હવે આખી દુનિયા સામે છે. નાઈન ઈલેવનના હુમલા પછી અમેરિકા દોડતું થઈ ગયું. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર ધરાશાયી થઈ ગયા હતા ને પાંચ હજાર લોકો ગુજરી ગયા હતા એટલે અમેરિકાએ બદલો લેવો જરૂરી હતો. આ બદલો લેવા માટે પાકિસ્તાનની મદદ જરૂરી હતી કેમ કે બીજું કોઈ મદદ કરી શકે તેમ નહોતું.
અમેરિકા ફરી આઈએસઆઈ અને પાકિસ્તાની લશ્કરના શરણે ગયું એટલે બંનેએ આતંકવાદ સામેની લડાઈના નામે અમેરિકાને દોહવાનું શરૂ કર્યું. આઈએસઆઈ-આર્મી ડબલ ગેમ રમતાં હતા. આતંકીઓ આઈએસઆઈના ઈશારે આતંક ફેલાવતા. તેમને ખતમ કરવાના નામે આઈએસઆઈ અમેરિકા પાસેથી અબજો ડોલર પડાવ્યા કરતું હતું.
અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલા પછી આતંકીઓના સફાયા માટે અફઘાનિસ્તાનને ખેદાનમેદાન કરીને મોટા ભાગના આતંકીઓને પાડી દીધા પણ પાકિસ્તાનમાં રહીને કામ કરતા આતંકીઓને કંઈ ના કર્યું.
આ આતંકીઓ ભારતને કનડે છે.