સંપૂર્ણ તમારા જેવી માન્યતા, ધારણા, આસ્થા, ટેવ, કુટેવ ધરાવતી હોય તેવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. એવું કહેવાય છે કે ઈશ્વર એક સરખી શકલ ધરાવતા સાત માણસોનું સર્જન કરે છે. પણ અદ્દલ એક સરખો સ્વભાવ ધરાવતો બીજો મળવો કઠણ છે. સ્વભાવનું સુક્ષ્મ વિઘટન કરીએ તો મતાંતર મળી જ આવે છે. બારીનો કાચ ખુલ્લો રાખવો કે નહિ ?, ઘરની દિવાલોનો રંગ કેવો રાખવો ?, દેશમાં શાસનનો કયો પ્રકાર સારો ?, બંધારણમાં ફેરફાર કેટલે અંશે યોગ્ય છે ? દેશ વિદેશનીતિમાં ક્યાં ભૂલ કરી રહ્યો છે ? એ વિશે અલગ મત સ્વાભાવિક છે. અલગ મત હોવો માનવીય સ્વભાવની સ્વતંત્રતા છે. ગાઢ મિત્રો વચ્ચે પણ મતભેદ હોવાના જ. એ મતભેદો સ્વીકારીને સામાવાળાને જેવો છે તેવો સ્વીકારવાની ભાવનાને જ મિત્રતા કહે છે. મારા જેવો જ મત હોવો જોઈએ એ માલિકીની ભાવના છે. પરિગ્રહ છે. આપણા શાસ્ત્રોમાં પાંચ મહાવ્રત કહ્યા છે, તેમાંનું એક અપરિગ્રહ છે. નિત્શેએ કહ્યું હતું કે ‘બીજો નરક છે’, “ ધ અધર ઈઝ હેલ…” ઓશોએ નિત્શેના આ વિધાનનું આગળ સુક્ષ્મ અવલોકન કરીને વિભાવના આપી કે બીજો નરક છે એ તો બીજું ચરણ છે, પહેલું ચરણ છે, બીજાને બીજો સમજવો. બીજાને બીજો ધારવાથી જ ટકરાવની શરૂઆત થઇ જાય છે. આજે બીજાને બીજો ધારવાની વિભાવનાનું સુક્ષ્મ વિઘટન થઇ ગયું છે. સોશ્યલ મીડિયા થકી હજારો માઈલ દૂર બેઠેલા જોડે અસહમત થઇ શકાય એવી સવલત ઉપલબ્ધ છે. તમે તમારું કામ કરો છો અને તમે એ પૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યા છો. તમારી બધી આવડત, અનુભવ, દાનત કામે લગાડીને તમારી ફરજ નિભાવી રહ્યા છો. સામાન્ય દિવસોમાં તમને રોજ સાંજે કામ પતાવીને ઘેર જતા આત્મસંતોષ થાય છે કે આજે તમે તમારું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું અને ધારેલું કામ થયું. અને નથી થયું તો ગ્લાની થાય છે. તમને જેના માટે નિયુક્ત કરવામાં આવ્યા છે, તમારી જે તે સંગઠનમાં જે ભૂમિકા છે, એ તમે સફળતા પૂર્વક નિભાવી રહ્યા છો. તમારા સંગઠનમાં જે બીજો છે, જે અન્ય કામમાં જોતરાયેલો છે, એ પણ તમારું કામ જુએ છે. એને એવું લાગે છે કે તમે તમારું કામ બરાબર નથી કરી રહ્યા. તમે ફલાણું ફલાણું કામ જે રીતે કર્યું એ બીજી કોઈ સારી રીતે થઇ શકતું હતું. તમે તમારા કામમાં પુરી નિષ્ઠા નથી આપી રહ્યા. એ કોઈ નિસ્બત વિના તમારાથી અસહમત છે. જો કે, એ તમારાથી તદ્દન અલગ પ્રકારનું કામ કરે છે. તમે જે કરો છો એ કામનો તેને કોઈ જ અનુભવ નથી. તમારા બંને વચ્ચે કામની પણ કોઈ સરખામણી નથી. છતાં કોઈને કોઈ આયામ પર એ તમને હરીફ ગણે છે. તમારા તરફથી કોઈ સ્પર્ધા, ટક્કર કે પડકાર મળી શકે તેમ છે તેવું ધરીને તમારા પ્રત્યે એક છૂપો અણગમો રાખે છે. સંસ્થા કે સંગઠનમાં એ તમારી ભૂમિકા ઉતરતી કક્ષાની ગણે છે. એ તમને સ્વીકારતો નથી. ટૂંકમાં તમારા પર ભરોસો નથી કરતો. આવું તમે એના વિશે ધારતા હો, એવી શક્યતા પણ રહેલી છે. આ વાતાવરણ સરવાળે કોઈપણ સંગઠનને હાનિ કરે છે. બે વ્યક્તિનો સુક્ષ્મ ટકરાવ પણ કોઈપણ સંગઠનની સર્વાંગી ગતિને ક્યાંક ને ક્યાંક રોકી શકે છે. કોઈ સંસ્થા કે સંગઠનમાં અન્યોની ભૂમિકાનો સ્વીકાર તમારી ભૂમિકા અદા કરવા માટે રસ્તો સરળ કરી આપે છે. તમે જેટલો બીજાની ભૂમિકામાં ચંચુપાત કે અવિશ્વાસ રાખશો એનો પ્રત્યાઘાત મળવો સંભવ છે. જો એ વ્યક્તિ પ્રતિકાર ન કરી શકે તેવી સ્થિતિમાં હોય તો તમે એ વ્યક્તિને ગુમાવી શકો છો. સતત અવગણના અને અવમાન કોઈ માટે સારું નથી હોતું. સ્વાભિમાનને કોઇ કાળે આઘાત ન પહોચે એવી મનોસ્થિતિ વાળો માણસ આજ દિન સુધી દુનિયાના પટ પર પેદા થયો નથી. આજના સમયમાં માણસના હાથમાં રહેલ ચાર બાય છ ઈંચની સ્ક્રીન દ્વારા માણસ દુનિયાથી વધુ ગાઢ રીતે જોડાયેલો છે. વર્તમાનની ભૂતકાળ સાથે સરખામણી બેઈમાની થઇ જાય, સમયની એ ગતિ છે. અસહમત થવાના બધા દ્વાર ખુલ્લા છે. તેવી જ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાના પણ બધા દ્વાર ખુલ્લા છે. વારે વારે અને નાની નાની બાબતોમાં ટકરાવ જે નકારાત્મકતા ફેલાવે છે એ છેલ્લે રોજબરોજની ઘરેડમાં ઉતરી આવે એ સંભાવનાઓ બહુ દૂર નથી. આવનારા સમયમાં હકારાત્મકતા માણસનો પ્રાથમિક સદગુણ થઇ પાડવાનો છે. અને હકારાત્મક રહેવા માટે જાજો દાખડો પણ કરવાની જરૂર નથી. આજના સમયમાં આપણી દરેક સ્તરની પસંદગી એના પાયામાં રહે છે. નવા વર્ષમાં હવે એ સંકલ્પ લેવો જરૂરી છે કે આવતા નૂતન વર્ષમાં નકારાત્મકતાથી દૂર રહીને હકારાત્મક બનીશું. મીઠા પાણીનો દરિયો અને ખારા પાણીનો દરિયો લગોલગ ફેલાયેલા છે. આપણે ક્યાંથી ખોબો ભરીએ છીએ એ આપણી અને સમષ્ટિ માટે અગત્યનું છે.
ક્વિક નોટ – ત્રણ યહૂદી કહેવતો.
– સોયનું કાણું બે મિત્રો માટે બહુ નાનું નથી અને આખી દુનિયા પણ બે શત્રુઓ માટે મોટી નથી.
– પુરુષ પોતાના શત્રુઓથી પોતાને સંતાડી શકે છે, પણ મિત્રોથી સંતાડી શકતો નથી.
– યુદ્ધ ખરાબ અને ઘૃણાસ્પદ છે, પણ
આભાર – નિહારીકા રવિયા યુદ્ધના મોરચા પરના લોકો ક્યારેક દૈનિક જીવતા લોકો કરતાં વધારે સારા હોય છે.