અમદાવાદ અને સુરતમાં કાર્યરત સંવેદના સંસ્થાએ અયોધ્યા રામમંદિરના ગર્ભગૃહની ૧૦૦૦ કિલો માટીનું ૩ લાખથી વધુ પરિવારોમાં નિઃશુલ્ક વિતરણ કરવાનું આયોજન કર્યું છે. સંસ્થાએ છેલ્લા ૬ મહિનાથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંસ્થાના સંદીપ જોધાણીના જણાવ્યા અનુસાર, નવરાત્રીની શરૂઆતમાં અયોધ્યા જઈને ત્યાંના વહીવટીતંત્ર અને મંદિરના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવ્યા બાદ માટી કુરિયર મારફતે અમદાવાદ લાવવામાં આવી છે. માટીને લેમિનેશન કરીને દરેક પરિવારને ૩ ગ્રામ રજકણનું પેકિંગ આપવામાં આવશે. શહેરના રામમંદિરથી વિતરણની શરૂઆત કરાશે અને જરૂર પડ્યે વધુ માટી લાવવાની તૈયારી છે. અન્ય રાજ્યોમાંથી ઓનલાઈન ફોર્મ ભરનારને નિઃશુલ્ક કુરિયર દ્વારા ઘરે પહોંચાડવામાં આવશે. સંસ્થાના ઋષિક દૂધાતે જણાવ્યું કે, તેમણે જાતે અયોધ્યામાં જઈને માટી એકત્રિત કરી હતી, જે ૫ દિવસમાં અમદાવાદ પહોંચી છે. હાલમાં એક હજાર કિલો રજકણને સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. સંસ્થા દ્વારા મજૂરો રોકીને માટીની સફાઈ અને યોગ્ય પેકેજિંગની કામગીરી કરવામાં આવી રહી છે.