અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળ ઘણા વર્ષોની રજૂઆત બાદ સીસી રોડ બન્યો છે. જા કે સીસી રોડ બન્યા બાદ આ માર્ગ પર આવેલી હોસ્પિટલ , જિ.પં. પ્રમુખના બંગલો સહિતની કચેરીઓમાં ગંધાતા પાણી ઘૂસી જતા હોવાથી અધિકારીઓ અને પદાધિકારીઓમાં રોષ ફેલાયો છે. અમરેલી સિવિલ હોસ્પિટલની પાછળ વર્ષોથી કાચો માર્ગ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવતા હતા જા કે તંત્ર દ્વારા ત્યાં સીસી રોડ બનાવવામાં આવતા રાહદારીઓ અને વાહનચાલકોને રાહત થઈ હતી. આ માર્ગ પર ભૂગર્ભ ગટર આવેલી હોવાથી ભૂગર્ભ ગટરમાંથી પાણીનો નિકાલ થતો ન હોવાથી ગટરના ગંધાતા પાણી સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા સહિત આજુબાજુમાં આવેલી અન્ય કચેરીઓમાં ઘૂસી જાય છે. શૌચાલયના પાણી કચેરીઓ અને ઘરમાં આવતા હોવાથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવે છે. આ બાબતે પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. જા કે જાણવા મળતી માહિતી મુજબ પમ્પીંગ સ્ટેશન ર૪ કલાક ચાલુ રાખવામાં આવે તો જ આ ગટરના પાણીની સમસ્યામાંથી છૂટકારો થાય તેમ છે પરંતુ માત્ર ૩ થી ૪ કલાક જેટલુ જ પમ્પીંગ ચાલુ રાખી ર૪ કલાકનું બીલ મુકવામાં આવતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંધાતા પાણીની સમસ્યાથી ત્રસ્ત કચેરીઓના કર્મચારીઓએ પાલિકાના કર્મચારીઓ અને આર એન્ડ બીના કર્મચારીઓને પણ સ્થળ પર બોલાવી સમસ્યાથી વાકેફ કર્યા હતા. આમ, છેલ્લાં ઘણા સમયથી ત્રસ્ત કર્મચારીઓ દ્વારા આ સમસ્યામાંથી કાયમી છૂટકારો મળે તેવી માંગ કરવામાં આવી છે.