લીલીયા મોટાના નાના કણકોટના સરપંચે અમરેલીના સાંસદને પત્ર લખીને વાયા કણકોટ અને ગારીયાધારથી ભાવનગર જતી બસને નિયમિત ચલાવવા માગ કરી છે. સાંસદ ભરતભાઇ સુતરીયાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમરેલીથી સવારે ઉપડતી આ બસ નાના કણકોટ થઇને જાય છે. આ બસમાં ગારીયાધાર કે શાખપુર જતા વિદ્યાર્થીઓ અપ-ડાઉન કરે છે. આ ઉપરાંત દર્દીઓ ભાવનગર જવા માટે પણ આ બસનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ આ બસને વારંવાર બંધ રાખવામાં આવે છે અને તે અંગે જાણ પણ કરવામાં આવતી નથી. આથી વિદ્યાર્થીઓ અને દર્દીઓ ઘણા પરેશાન થાય છે. આ બસનું નિયમિત સંચાલન થાય અને તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવે તેવી માગણી લોકો દ્વારા કરવામાં આવી છે.