અમરેલી જિલ્લામાં ૬ થી ૧૮ વર્ષની વયજૂથના હોય અને શિક્ષણથી વંચિત રહી ગયા હોય તેમજ ધો.૧ થી ધો.૧૨ સુધીનું શિક્ષણ મેળવ્યું જ ના હોય, ધો.૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચે શાળા છોડી હોય તેવા દિવ્યાંગ સહિતના તમામ બાળકોના સર્વેની કામગીરી અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે. આવા બાળકોને સમગ્ર શિક્ષા અંતર્ગત આવરી લેવાના ઉદ્દેશ્ય સાથે નવેમ્બર – ૨૦૨૪ ની તા.૭ થી તા.૧૬ દરમિયાન સર્વે થશે. શિક્ષાથી વંચિત અને શાળા બહારના બાળકોને આવરી લેવા આ સર્વેમાં જાહેર જનતાને સહભાગી થવા અનુરોધ છે. શિક્ષાથી વંચિત અને શાળા બહારના બાળકો કોઈપણ વ્યક્તિના ધ્યાને આવે તો તેવા બાળકોને નજીકની પ્રાથમિક શાળાના આચાર્યને જાણ કરી સહકાર આપવા અમરેલી જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.