અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે વિરોધ દર્શાવવા ખેડૂતોએ મગફળીના પાકનું બેસણું યોજ્યું હતું. સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. મગફળીના પાથરા સડી ગયા છે અને કેટલાક સુરવો ડેમમાં તણાઈ ગયા છે. કપાસના ઝીંડવા ખરીને નષ્ટ થયા છે, જ્યારે સોયાબીનનો પાક પણ પાક્યા પછી વરસાદથી નાશ પામ્યો છે. અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ સત્યમ મકાણીએ જણાવ્યું હતું કે, દેવામાં ડૂબેલા ખેડૂતોની સ્થિતિ વધુ કથળે તે પહેલાં સરકારે ચોમાસુ પાકોના નુકસાન માટે વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ. તેમણે વિઘા દીઠ નુકસાન ચૂકવવાની માગણી કરી હતી. આ સાથે મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને ધારાસભ્યને ખેતીપાકના પાણીઢોળના મેલા લખી વિરોધ નોંધાવ્યો હતો. શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં ખાતરની વ્યવસ્થા કરવાની માગણી પણ કરવામાં આવી હતી.