અમરેલી જિલ્લાના પુરવઠા તંત્ર દ્વારા એપ્રિલ માસ દરમિયાન જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) હેઠળના અગ્રતા ધરાવતા બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને ૮,૭૬૩ ટન ઘઉં અને ૨,૫૫૧ ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં અંત્યોદય કાર્ડ ધારકોને પણ એપ્રિલ માસમાં ૩૧૩ ટન ઘઉં અને ૪૧૭ ટન ચોખાનું વિતરણ કરાયું છે. વધુમાં, એએવાય અને બીપીએલ કાર્ડ ધારકો માટે ૧૪૧ ટન ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગ્રતા ધરાવતા પરિવારોને વ્યક્તિદીઠ ૨ કિલોગ્રામ ઘઉં અને ૩ કિલોગ્રામ ચોખા જ્યારે અંત્યોદય પરિવારોને કાર્ડ દીઠ ૧૫ કિલોગ્રામ ચોખા અને ૨૦ કિલોગ્રામ ઘઉં વિનામૂલ્યે આપવામાં આવે છે.