અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે આગામી તા.ર૮ના રોજ ભારત માતા સરોવરના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરેલી જિલ્લાના પ્રવાસે આવશે. આ કાર્યક્રમ બાદ જનસભા પણ યોજવામાં આવશે ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની એકત્ર કરવા માટે અમરેલી એસ.ટી. ડિવિઝનની ૧૭૦ બસ કાર્યક્રમમાં ફાળવવામાં આવશે તેમ એસ.ટી.ના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે લાઠી તાલુકાના દુધાળા ગામે આવનાર હોવાથી વહીવટીતંત્ર પ્રધાનમંત્રીના આગમનને લઈ સતર્ક બન્યુ છે. ભારત માતા સરોવરના લોકાર્પણ બાદ જનસભા યોજાનાર હોવાથી આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ગામડા અને શહેરોમાંથી જનમેદની એકત્ર કરવા માટે અમરેલી એસ.ટી. ડિવિઝનની ૧૭૦ જેટલી બસ ફાળવવામાં આવશે.
૧૭૦ બસ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ફાળવવાથી મોટાભાગના લોકલ રૂટ બંધ રહેશ તો અમુક એક્સપ્રેસ રૂટને પણ બંધ રાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેથી સોમવારે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આ સમયે ખાનગી વાહનચાલકો બેફામ ભાડુ વસૂલી મુસાફરોના ખિસ્સા ખંખેરશે. કયા ડેપોમાંથી કેટલી બસ ફાળવવામાં આવશે તે હજુ નક્કી થયુ નથી પરંતુ સોમવારે મુસાફરોના લલાટે હાલાકી જાવા મળશે તે નક્કી છે.