અમરેલી એરપોર્ટની સુવિધાઓ વધારવા અને સંભવિત અકસ્માતોને ઘટાડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર્તા ભરત કાતરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમરેલીના જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. પત્રમાં ચિતલ રોડ પર આવેલા એરપોર્ટની હવાઈ પટ્ટીને બાયપાસ સુધી લંબાવવા માટે શાસ્ત્રીનગર અને ગીરીયાની જમીન સંપાદિત કરવાની વિનંતી કરવામાં આવી છે. કાતરીયાએ જણાવ્યું હતું કે હાલમાં અમરેલી એરપોર્ટ ઘણું નાનું છે અને તેની રનવે પટ્ટી નાની હોવાથી મોટા વિમાનો ચડી કે ઉતરી શકતા નથી. તાજેતરમાં જ એક તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક પાયલોટનું મૃત્યુ થયું હતું. અમરેલી જિલ્લાનું મુખ્ય મથક હોવાથી અને તેનો વિકાસ થઈ રહ્યો હોવાથી અહીંથી વેપાર-ધંધા અને અભ્યાસ માટે લોકો અન્ય શહેરો અને વિદેશોમાં જાય છે. રેલવેમાં બ્રોડગેજની સુવિધા ન હોવાથી અને બસમાં વધુ સમય લાગતો હોવાથી એરપોર્ટનો વિકાસ જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો એરપોર્ટની હવાઈ પટ્ટી લંબાવવામાં આવે તો નાના-મોટા તમામ વિમાનોની અવરજવર શક્ય બનશે અને ડોમેસ્ટિક એરલાઇન પણ શરૂ કરી શકાશે, જેનાથી લોકોને સુવિધા મળશે અને સમયનો બચાવ થશે. તેમણે સરકાર પાસે જાહેર હેતુ માટે જમીન સંપાદિત કરી અસરગ્રસ્ત જમીન માલિકોને યોગ્ય વળતર અને પુનર્વસન આપવાની પણ માંગ કરી છે.