ગુજરાતના રાજકારણમાં અમરેલી જિલ્લો હંમેશા એપી સેન્ટર રહ્યો છે. એક અઠવાડિયાના ટૂંકાગાળામાં જ પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમાં પણ સીએમ પટેલે અઠવાડિયામાં બે વખત અમરેલીના આંટા માર્યા તેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે.લાઠીમાં એક કાર્યક્રમમાં આવેલા પીએમ મોદીએ અમરેલીની ભરપેટ પ્રશંસા કરતા કહ્યું હતું કે, અમરેલીની ધરતીએ અનેક રત્નો આ ધરતીને આપ્યા છે એવી આ ભૂમિ છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે અમરેલીનો ગૌરવશાળી ભૂતકાળ રહ્યો છે. જેણે યોગીજી મહારાજ અને ભોજા ભગત આપ્યા. ગુજરાતમાં સાંજ એવી ન હોય કે જ્યાં દુલાભાયા કાગને કોઇ યાદ ન કરતું હોય. અહીંના સંતાનોએ પડકારોને પડકાર્યા છે. આ ધરતીમાંથી અનેક ઉદ્યોગપતિઓ આવ્યા છે. ગુજરાત જ નહીં દેશનું નામ રોશન કરે એવા નવરત્નો આપ્યા છે. સાવરકુંડલામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ હતું. સાવરકુંડલાની નાવલી નદીનો મુદ્દો અનેક વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. ઉપરાંત સીએમે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
અમરેલી જિલ્લો ગુજરાતના રાજકારણમાં કાયમ માટે ચર્ચાનું કેન્દ્ર
અમરેલી જિલ્લા ભાજપના કેટલાક અસંતુષ્ઠ નેતાઓ ખુલીને પ્રદેશ
નેતૃત્વ સામે નિવેદનો આપી રહ્યા છે. તેમનો આરોપ છે કે પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે અને અન્ય પાર્ટીમાંથી આવેલા નેતાઓની સરભરા થઈ રહી છે. આમ પણ અમરેલી જિલ્લો ગુજરાતના રાજકારણમાં કાયમ માટે ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે, તેથી આવનારી ચૂંટણીઓમાં ભાજપમાં કોઈ ભાંજગડ ન થાય તે માટે પહેલાથી જ ડેમેજ કંટ્રોલ માટે પીએમ અને સીએમએ એક સપ્તાહના ટૂંકાગાળામાં મુલાકાત લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઘીના ઠામમાં ઘીની હોઈ શકે છે રણનીતિ
આ બંને ઘટનાને લઈ અમરેલીની રાજનીતિને નજીકથી જાણતાં એક વરિષ્ઠ પત્રકારે જણાવ્યું કે, અમરેલી ભાજપમાં ક્યાંકને ક્યાંક આંતરિક અસંતોષ હોઈ શકે છે. વરિષ્ઠ નેતા સોશિયલ મીડિયામાં તેમના જ પક્ષની આકરી ટીકા કરે છે. જોકે હાલ કોઈ ખુલીને બોલવા તૈયાર નથી. પીએમ અને સીએમ આ મુદ્દો આગની જેમ ભડકી ઉઠે તે પહેલાં જ ઘીના ઠામમાં ઘીની જેમ ઉકેલી દેવા માંગતા હોય તેમ બની શકે છે. અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દૂધાતને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભાજપનો આંતરિક મામલો હોવાનું કહી મારે કંઈ બોલવું નથી તેમ કહી વાત ટાળી દીધી હતી.