અમરેલીમાં જિલ્લા આરોગ્ય વિભાગ, તાલુકા હેલ્થ કચેરી અમરેલી તથા અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ૩૧મી મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ નિમિત્તે લોકોમાં તમાકુ તથા તમાકુના અન્ય ઉત્પાદનોથી થતા શારીરિક નુકસાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પંડ્‌યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોશીએ સંયુક્ત લીલીઝંડી આપીને કર્યું હતું.
આ ઉપરાંત તમાકુ વિરોધી સૂત્રોચ્ચાર કરાવીને રેલીમાં હાજર રહેલ તમામ લોકોનો જુસ્સો વધારવામાં આવ્યો હતો. રેલીમાં બેનર દ્વારા તમાકુ અને ધુમ્રપાનથી થતાં નુકસાન અંગે સમજણ આપવામાં આવી હતી.
બાઈક રેલીમાં મુખ્ય જિલ્લા સર્વેલન્સ અધિકારી ડો. એ.કે. સિંહ, જિલ્લા ક્યુ.એમ.ઓ. ડો. આર.કે. જાટ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાજીવકુમાર સિંહા, અર્બન હેલ્થ ઓફિસર તથા અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ, તાલુકા હેલ્થ કચેરી આરબીએસકે અધિકારી તથા સ્ટાફ, જિલ્લા આરોગ્ય ટોબેકો સેલના રિયાઝભાઈ મોગલ તથા નરેશભાઈ જેઠવા, જિલ્લા મેલ સુપરવાઇઝરો બાઈક રેલીમાં હાજર રહ્યા હતા. તમાકુના પ્રભાવથી ‘બાળકોનું રક્ષણ’ વિષયક સેમિનાર યોજવામાં આવેલ જેમાં આરોગ્ય સ્ટાફ અને સેવાભાવી સંસ્થાઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ડો. એ.જે. ડબ્બાવાલાએ ધુમ્રપાનથી થતા રોગો અને નુકસાન અંગે તેમજ બાળકોને વ્યસનથી દુર રાખવા સવિશેષ સમજણ આપી હતી.