અમરેલીના નવયુવાન હાર્દિકભાઈ જગદીશભાઈ મજેઠીયાએ તા. ૨૩-૧૦-૨૪ ના રોજ અક્ષર મંદિર, ગોંડલ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના વડા પ. પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે ત્યાગાશ્રમ દીક્ષા ગ્રહણ કરી છે. પ. પૂ. મહંત સ્વામી મહારાજે તેમનું પાર્ષદી નામ પૂ. કશ્યપ ભગત રાખ્યું છે. હાર્દિકભાઈએ ભારતમાંથી ફાર્મસીની ડિગ્રી મેળવેલ. ત્યારબાદ જર્મની ખાતે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરેલ છે. આવી તેજસ્વી કારકિર્દી પ. પૂ. મહંત સ્વામી મહારાજના ચરણોમાં સમર્પિત કરી ત્યાગાશ્રમ ગ્રહણ કરી સત્સંગ અને સમાજ સેવામાં જોડાયા છે. અક્ષર મંદિર, ગોંડલ ખાતે યોજાયેલ દીક્ષા સમારોહમાં વેદોક્ત વિધિ મુજબ ૨૯ સુશિક્ષિત યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી છે. તેમજ આગામી તા. ૨૬ ઓક્ટોબરના રોજ બીજા ૩૦ સુશિક્ષિત નવયુવાનો દીક્ષા લેશે. બી.એ.પી.એસ. સંસ્થામાં કુલ ૧૨૧૯ સંતો સમાજ અને સત્સંગની સેવામાં કાર્યરત છે.