ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે
ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના ખડ ખંભાળીયા મુકામે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગામતળ અને ચોક વિસ્તારમાં બ્લોક રોડ, ગામના તળાવ સુધીના બ્લોક રોડ અને ખાસ પછાત ખારાપાટ જોગવાઈ હેઠળ ભૂગર્ભ ગટર સહિતના અંદાજે રૂ. ૧૧ લાખથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યો ત્વરાએ કરવામાં આવશે. આ વિકાસકામો થકી ગ્રામ્ય કક્ષાએ લોકોને બ્લોક રોડ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ વિકાસકામો સતત અને અવિરત શરૂ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય કક્ષાએ લોકોને સારા રોડ રસ્તા ઉપરાંત ભૂગર્ભ ગટરના વિવિધ કામો થકી લોકોની સગવડતામાં વધારો થશે. અમરેલી તાલુકાના ખડ ખંભાળીયા મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચ પ્રતાપભાઈ વાળા, ગ્રામ પંચાયત સભ્યો, ગામના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.










































