અમરેલીના જાણીતા નાગનાથ મંદિરનો પાટોત્સવ આ વર્ષે સંપૂર્ણ સાદગીથી ઉજવાશે. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોતની ઘટનાથી ભારતીયો આઘાતની લાગણી અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષનો પાટોત્સવ સાદગીથી ઉજવવાનું નક્કી કરીને ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ મોકુફ રાખેલ છે. દર વર્ષે આ પાટોત્સવ નિમિત્તે દાદાના ભક્ત એવા ધીરુભાઇ (ડીકે) રૈયાણી આરતી પછી પોતાની દર્શન હોટેલમાં દરેક ભક્તો માટે પ્રસાદનું આયોજન કરે છે. મંદિરના અનન્ય ભક્ત એવા અરવિંદભાઇ જાનીદાદા, ડી.કે. રૈયાણી અને મંદિર ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઇ મહેતાએ ચર્ચા કરીને સાદગીપૂર્વકની ઉજવણીનો નિર્ણય લીધો હતો.