અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારની રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. અજાણ્યા શખ્સો દ્વારા યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કરાતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ યુવક બોપલના શિવાલય રો હાઉસમાં રહેતો કલ્પેશ ટુંડિયા હોવાનું સામે આવ્યું છે. કલ્પેશ ટુંડિયા પર ફાયરિંગ થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, બોપલમાં આવેલા કબીર એન્કલેવ પાસે અજાણ્યા શખ્સો દ્વારા કલ્પેશ ટુંડિયા નામના વ્યક્તિ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ આ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પોલીસની તપાસ દરમિયાન મૃતક કલ્પેશ ટુંડિયાના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. પોલીસે સુસાઈડ નોટના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ શેરબજારના પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ થયું હોવાની આશંકા છે, ત્યારે સમગ્ર ઘટનાની તપાસ થયા બાદ જ સાચું કારણ શું છે તે બહાર આવશે. હાલ તો આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.









































