અમદાવાદમાં અસામાજીક તત્વો લોકોમાં ડરનો ભય પેદા કરી રહ્યા છે. એવામાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, ભાડા અંગેની માથાકૂટ ચાલી રહી હોવાથી વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. રિક્ષાચાલકે પેસેન્જરને પાછળથી રિક્ષાની ટક્કર મારી નીચે પાડી દીધો અને એમાંય રિક્ષાચાલકે ફરી રિક્ષાનો યુટર્ન મારી પેસેન્જર પર રિક્ષા ચડાવી નાખી. પેસેન્જરને માથાના ભાગે ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
આ ઘટના બાબતે પોલીસને જાણ થતાં એવું લાગ્યું કે, આ એક અકસ્માત છે. આથી પોલીસે પહેલા અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જા કે, સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને રિક્ષાચાલકની પોલ ખૂલી ગઈ. વધુમાં માહિતી મળી છે કે, મુસાફરે માત્ર ૩૦ રુપિયા ભાડુ ન આપતા રિક્ષા ચાલકે તેની હત્યા કરી દીધી હતી.
અમદાવાદમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થતો જઇ રહ્યો છે. છેલ્લા થોડાક મહીનાઓથી તો અસામાજીક તત્વો, લૂંટ, ચોરી, હત્યા જેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં હવે એક નજીવી તકરારમાં થયેલી કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી છે. ભાડાની તકરારમાં એક રિક્ષા ચાલકે મુસાફરની હત્યા જ કરી નાખી છે. જેના સીસીટીવી સામે આવ્યા છે.