સોના-ચાંદીમાં સતત ચાલી આવતી તેજી અને ભાવમાં રોજ પ્રતિ રોજ સર્જાતા રેકાર્ડના સમાચારો વચ્ચે અમદાવાદમાં ૧૧૭ ાખ્ત ની ઘટના સામે આવી છે. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા અને રાજ્યના પ્રસિદ્ધ જૈન દેરાસરો પૈકીના એક શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસર માંથી પૂજારી સહિત ત્રણ શખ્સોએ ભગવાનના ચાંદીના શણગાર, મુગટ અને કુડળની ચોરી કરી છે. આ ઘટના સામે આવતાંની સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને પાલડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, ૧.૬૪ કરોડની ચાંદીનો શણગાર/આભૂષણોની ચોરી ૨૬ મહિનાના ગાળામાં થઈ હોવાનું અનુમાન છે.અમદાવાદના પાલડી નારાયણનગર રોડ પર આવેલા લક્ષ્મીવર્ધક જૈન સંઘના સેક્રેટરી રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં ૧.૬૪ કરોડની ચાંદીના આભૂષણ/શણગાર ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. ગત ૮ આૅક્ટોબરના રોજ શિતલનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામી ભગવાનને ચઢાવવામાં આવેલી આંગી બે દિવસ બાદ લાકર રૂમમાં મુકવા માટે પૂજા સામગ્રી રૂમમાં લેવા ગયા ગયા હતા. શોધખોળ બાદ ચાંદીની બે આંગી નહીં મળતા ચોરીની શંકા જતાં તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, બે આંગી ઉપરાંત બે મુગટ, બે કુંડળ, ગર્ભગૃહની દિવાલના ૫ શણગાર અને ગર્ભગૃહ બહારની દિવાલનો ચાંદીનો શણગાર મળ્યો ન હતો. કુલ ૧૧૭.૩૩૬ કિલો ચાંદી કિંમત રૂપિયા ૧ કરોડ ૬૪ લાખની ચોરી થઈ હોવાની જાણ થતાં ટ્રસ્ટીઓને વાકેફ કરાયા હતા. આ મામલના જાણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ અને પાલડી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. દેરાસરમાં પૂજારી તરીકે કામ કરતા બે ભાઈ મેહુલ હરીસિંહ રાઠોડ અને દિનેશ રાઠોડ પૈકી મેહુલ ગુમ હતો. આ ઉપરાંત સફાઈ કર્મચારી દંપતી કિરણ અને તેની પત્ની હેતલ ઉર્ફે પુરીબેન પણ લાપતા હોવાનું જાણવા મળ્યું હતું.

જૈન દેરાસરના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે, ૮ આૅક્ટોબરના રોજ પૂજારી મેહુલ રાઠોડે સીસીટીવી કેમેરાનો પાવર સપ્લાય બંધ કરીને અઢી કલાકમાં ચોરીને અંજામ આપ્યો હતો. મેહુલના ભાઈની પૂછપરછમાં તેનો ભાઈ ૯ આૅક્ટોબરના રોજ સવારે સાડા છ વાગે ક્યાંક ચાલ્યો ગયો હોવાનું જાણવા મળ્યું. પાલડી પોલીસે ૧.૬૪ કરોડ ગુનાનો ભેદ ઉકેલવા દિનેશ રાઠોડ પાસેથી માહિતી મેળવી રહી છે. બીજી તરફ ગુમ થઈ ગયેલા સફાઈ કર્મચારી દંપતીએ મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક ટેનામેન્ટ તેમજ મહિન્દ્રા પીકઅપ વાન ખરીદી હોવાની વિગતો પણ સામે આવી છે. પાલડી પોલીસને સફાઈ કર્મચારી હેતલ  ઉર્ફે પુરીબેન મળી આવતા તેમની અટક કરી છે.